રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અલગ- અલગ વસ્તુઓમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો છે ત્યારે અનાજ અને કઠોળ ઉપર પાંચ ટકા જીએસટીનો દર લાગુ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવતાં ગ્રેઇન મરચન્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજે દેશભરનાં ગ્રેઇન મરચન્ટ એસોસિએશન એ બંધનું એલાન કર્યુ હતું. જેને ગુજરાતભરમાં મોટાભાગના અનાજના વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે.
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વેપારીઓએ જીએસટીનો વિરોધ દર્શાવ્યો હતો, પોરબંદર હોલસેલ ગ્રેઇન મરચન્ટ એસોસિએશનનાં પ્રમુખ અનીલભાઇ કારીયાએ સમર્થન આપ્યું હતું અને બંધમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. જેને પગલે આજે પોરબંદરનાં હોલસેલ ગ્રેઇન મરચન્ટ એસોસિએશન સથે જોડાયેલા વેપારીઓએ બંધ પાળી અને સરકાર સામે નારાજગી વ્યકત કરી હતી. આ સાથે જ વેપરીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ અંગે પોરબંદર હોલસેલ ગ્રેઇન મરચન્ટ એસોસિએશનનાં પ્રમુખ અનીલભાઇ કારીયાએ એવું જણાવ્યું હતું કે, હાલ કોરોના કાળમાંથી પસાર થયેલા આમ પ્રજાજનો અને મંદીનાં મોજામાંથી પસાર થઇ રહેલા વેપારીઓનાં હિતને લક્ષમાં રાખીને સરકાર દ્વારા વસુલવામાં આવતો અનાજ પરનો જીએસટીનો દર દુર કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત એવી પણ રજૂઆત કરી છે કે અનાજનાં જથ્થાબંધ વેપાર કરતા વેપારીઓ 1 થી 2 ટકાનાં નફા સાથે ધંધો કરતા હોય છે. પરંતુ તેવા સમયે સરકાર દ્વારા અનાજ અને કઠોળ પર વસુલવામાં આવતો પાંચ ટકા જીએસટી દર ખુબજ વધારે છે. આ જીએસટીનો દર દુર કરવામાં નહીં આવે તો મોંઘવારીમાં સતત વધારો થશે. જેના કારણે લોકોને જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બનશે તેવું અમારે માનવું છે. તેમજ હાલ પેટ્રોલ -ડિઝલનાં ભાવ વધારાને કારણે પ્રજા મોંઘવારીનાં વિષ ચક્રમાં ફસાઇ છે. જયારે જીએસટી કાઉન્સીલની મળનારી બેઠકમાં જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ અનાજ – કઠોળ પર લગાડવામાં આવેલ જીએસટી દર દુર કરવામાં આવે તેવું પણ આવેદનપત્રનાં અંતમાં જણાવ્યું હતું. આજે પોરબંદર હોલસેલ ગ્રેઇન મરચન્ટ સાથે જોડાયેલા 150 જેટલા વેપારીઓ બંધમાં જોડાયા હતાં. જેને કારણે સુતારવાડા વિસ્તાર સુમસામ જોવા મળી રહયો હતો. સામાન્ય રીતે સવારનાં સમયે ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. આજે હડતાળ હોવાના કારણે હોલસેલની તમામ દુકાનો બંધ જોવા મળી હતી.