મુંબઈ પોલીસને શનિવારે 26/11 જેવા હુમલાની ધમકી મળી છે. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની નંબર પરથી મુંબઈ ટ્રાફિક કંટ્રોલ ડિપાર્ટમેન્ટના વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે. આ મેસેજમાં અજાણ્યા વ્યક્તિએ લખ્યું છે કે જો તેનું ‘લોકેશન ટ્રેસ’ કરવામાં આવશે તો તે ભારતની બહાર મળી જશે. ધમકીભર્યા મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 6 લોકો આ યોજનાને અંજામ આપશે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં હથિયારો અને વિસ્ફોટકો વહન કરતી બોટ જપ્ત કર્યાના બે દિવસ બાદ આ ધમકી આપવામાં આવતા પોલિસ સતર્ક બની છે.
2008 ના મુંબઈ હુમલા એ આતંકવાદી હુમલાઓની ઘટનાઓ ઘટી હતી જે 26 નવેમ્બર 2008 ના રોજ શરૂ થઈ હતી. જેમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 સભ્યોએ ચાર દિવસ દરમિયાન મુંબઈમાં 12 સ્થળોએ ગોળીબાર કર્યો હતો અને બોમ્બ વિસ્ફોટ કર્યા હતા.
રાયગઢમાં AK-47 સાથે બોટ મળી, વિસ્ફોટકો જપ્ત
18 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં બે અજાણી શંકાસ્પદ દેખાતી બોટ મળી આવી હતી. એક બોટ હરિહરેશ્વર બીચ પર મળી આવી હતી, જેમાં કસ્ટમ મેઇડ નેપ્ચ્યુન મેરીટાઇમ સેફ્ટી બોક્સમાં દારૂગોળો અને વિસ્ફોટકો સાથે 3 AK-47 રાઇફલ્સ હતી, જ્યારે બીજી બોટ ભરણ ખોલ કિનારા નજીક મળી આવી હતી, જેમાં લાઇફ જેકેટ અને કેટલાક દસ્તાવેજો હતા.
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બોટ જોવા મળી ત્યારે તેમાં કોઈ હાજર નહોતું. ઘટના બાદ, મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એક્શનમાં આવી અને વધુ તપાસ માટે જહાજને રાયગઢ કિનારેથી ખેંચી લીધું.