તારીખ 12 ઓક્ટોબર, 2025ના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્થિત શ્રી સુંદરસાથ સેવા ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલ ખાતે શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ / પરગણા મહાસંઘ ગાંધીનગરની સામાન્ય સભાનું આયોજન થયું હતું. આ સભામાં મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને ખેડા જિલ્લાના 36 પરગણાના હજારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મહાસંઘના ચીફ પેટ્રન અને માજી કેબિનેટ મંત્રી ડૉ. કરસનદાસ સોનેરી સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં તેમણે સમાજને શિક્ષણના ક્ષેત્રે આગળ વધવા, એકતા જાળવવા તેમજ ગાંધીનગરમાં નિર્માણાધીન વણકર ભવન માટે આર્થિક યોગદાન આપવા હાકલ કરી હતી. ડૉ. સોનેરી સાહેબની આ હાકલને સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે સ્વીકારી સભા દરમિયાન જ દાન આપવાનું શરૂ કર્યું, જેના પરિણામે લાખો રૂપિયાનું દાન એકત્રિત થયું.
આ પ્રસંગે મહાસંઘના પ્રમુખ ડૉ. અમૃતભાઈ પરમાર, મહામંત્રી હરગોવિંદભાઈ સોલંકી, દાતા અશોકભાઈ સોનેરી, દાતા જગદીશભાઈ સોલંકી, ઉ.ગુ. યુનિવર્સિટીના ડીન ડૉ. અમૃતભાઈ પરમાર, સાહિત્યકાર ડૉ. મનુભાઈ મકવાણા અને દાતાશ્રી નીરુબેન સોનેરી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાસંઘના ખજાનચી ગોવિંદભાઈ કાપડિયાએ આર્થિક અહેવાલ રજૂ કર્યો જ્યારે પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર અને પૂર્વ મંત્રી ગીરીશભાઈ પરમારએ સભાને સંબોધિત કરી. કાર્યક્રમનું સંચાલન હરગોવિંદભાઈ સોલંકીએ કર્યું હતું. અંતે સુંદરસાથ સેવા ટ્રસ્ટના પ્રમુખ દુર્ગેશભાઈ પ્રણામીએ તમામ મહેમાનો તથા સભાસદોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું.
