અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જીવણપુર (ખોખરીયા) ગામે સમસ્ત વણઝારા સમાજ દ્વારા નવનિર્મિત ભગવાન રામદેવજી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારના લોકો દ્વારા ભારે ઉત્સાહ સાથે આ ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.
આ પવિત્ર પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષારભાઈ ચૌધરી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, કમલેન્દ્રસિંહ પુવાર, બળવંતસિંહ રાઠોડ, પ્રમુખ જયેશભાઈ અસારી, જગતસિંહ ઠાકોર, દિનેશભાઈ વણઝારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનો દ્વારા મંદિર નિર્માણ માટે સમસ્ત વણઝારા સમાજના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડો. તુષારભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે, આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સમાજમાં એકતા, સદ્ભાવના અને સંસ્કારને મજબૂત બનાવે છે. ભગવાન રામદેવજી મહારાજ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી હતી.
