સરકારે ભાવનગર જિલ્લાની 56 માંથી 44 જેટલી જર્જરિત શાળાઓના રીનોવેશનની કામગીરી કરવાનો નિર્ણય કર્યો હોવાનું આમ આદમી પાર્ટીને નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું છે, અને સરકારના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું કે, “રાજનીતિ રાજનીતિની જગ્યા પર છે, ‘આપ’ સરકારના ક્રાંતિકારી શિક્ષણમંત્રી મનિષ સિસોદિયા ની ભાવનગર જિલ્લાની સ્કૂલોની મુલાકાત બાદ ગુજરાત સરકાર દ્વારા આશરે 54 માંથી 44 જર્જરિત સ્કૂલોના રીનોવેશન કરવાના નિર્ણયને આવકારીએ છીએ.”
સાંભળો AAP નેતા ઇસુદાન ગઢવીએ શું કહ્યું
અત્રે ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ભાવનગર જિલ્લાની સરકારી શાળાઓની મુલાકાત કરી હતી, જ્યાં સરકારી શાળાઓની પરિસ્થિતિથી લોકોને વાકેફ કર્યા હતા. શાળાઓમાં યોગ્ય સુવિધાઓનો અભાવ હોવાની વાત કરી હતી, ત્યારે આપ પાર્ટીના નેતાની મુલાકાતને લઇને સરકાર દ્વારા જર્જરીત શાળાઓના સમારકામ કરવાનો નિર્ણય કર્યો હોવાનું આપ નેતાએ જણાવ્યું હતું.
સરકારી શાળાઓની મુલાકાતને લઇને રાજનીતિ શરૂ થઇ હતી એક બાજુ આપ પાર્ટીના નેતાઓ જર્જરિત શાળાઓ તેમજ શાળાઓની પરિસ્થિતિની પોલ ખોલી રહ્યા હતા, તો બીજી બાજુ સત્તાધીશો શાળાની સુવિધાઓના ફોટો વાઈરલ કરતા હતા.