દહેજમાં એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની છે. જેમાં મળતી માહિતી અનુસાર, દહેજની ભારત રસાયણ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. તે સમયે બ્લાસ્ટ થયો હતો. ત્યાર બાદ ભીષણ આગ ભભૂકી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર ફાયટરની 10 ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવામાં લાગી ગઈ હતી. તેમજ 6 થી વધુ એમ્બ્યુલન્સ દોડતી થઈ હતી. આ દુર્ઘટનામાં 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 10ની સ્થિતિ ગંભીર છે. આ તમામને સારવાર અર્થે ભરુચ ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં સમયાંતરે ઘટાડા થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ધુમાડાના ગોટે ગોટા 3 થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. આ બ્લાસ્ટ થતા વિવિધ કંપનીના ફાયર ફાઈટરો અને સાયરનોથી ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠ્યું હતું. તેમજ ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાસન સ્થળ પર દોડી આવ્યું હતું.
આ બ્લાસ્ટ સમયે કેટલા કામદારો પ્લાન્ટ પર ફરજ બજાવી રહ્યા હતા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં બોઈલર બ્લાસ્ટ થયો હોવાની માહિતી સામે આવી છે.