ઇરાકના સંસદસભ્યોએ ઇઝરાયેલ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં ઇરાકના સાંસદોએ સંસદમાં એક બિલ પસાર કર્યું હતું જેમાં ઇઝરાયેલ સાથેના કોઈપણ સંબંધોને સામાન્ય બનાવવાને, વ્યવસાયિક સંબંધો સહિતને ગુનો જાહેર કર્યો હતો. આ મુજબ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ રાખવામાં આવી છે.
લોકો આવો કાયદો બને તેવુ ઈચ્છે છેઃ સ્પીકર
ઈરાકના 329 સભ્યોના ગૃહમાં 275 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું અને નવા કાયદાને મંજૂરી આપી હતી. સંસદ દ્ધારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાયદો ‘લોકોની ઇચ્છાનું સાચું પ્રતિબિંબ’ છે. આ નિર્ણય બાદ પ્રભાવશાળી શિયા મૌલવી મુક્તદા અલ-સદ્રે ઇરાકીઓને “મહાન સફળતા”ની ઉજવણી કરવા માટે શેરીઓમાં આવવા આમંત્રણ આપ્યું હતુ.
કાયદો પસાર થયા પછી ઇરાકના સાંસદોએ કહ્યું કે તેઓએ ઈરાન દ્વારા સમર્થિત હરીફ પક્ષો દ્વારા કોઈપણ દાવાઓને રોકવા માટે કાયદાની દરખાસ્ત કરી હતી કારણ કે કેટલાક સુન્ની અને કુર્દ સાથે જોડાયેલા છે, જેઓ ઈઝરાયેલ સાથે ગુપ્ત સંબંધો ધરાવે છે.
કાયદાનો અમલ કેવી રીતે થશે તે હજુ નક્કી નથી
આ પછી સેંકડો લોકો સેન્ટ્રલ બગદાદમાં એકઠા થયા અને ઈઝરાયલ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. ગયા વર્ષે ઇરાકની સંસદીય ચૂંટણીમાં મુક્તદા અલ-સદ્રની પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ કાયદો કેવી રીતે અમલમાં આવશે. કારણ કે, ઈરાકે હજુ સુધી ઈઝરાયેલને માન્યતા આપી નથી, બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. આ સાથે જ ધાર્મિક પક્ષના નેતાએ પણ પેલેસ્ટાઈનીઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે અવાજ ઉઠાવ્યો છે.