બંગાળના મુખ્યમંત્રી 15 જૂને દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાઓ સાથે સંયુક્ત બેઠકમાં ભાગ લેશે. આ માટે મમતાએ 22 નેતાઓને પત્ર પણ લખ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવતાની સાથે જ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આને ધ્યાનમાં રાખીને બંગાળના મુખ્યમંત્રી 15 જૂને દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાઓ સાથેની સંયુક્ત બેઠકમાં ભાગ લેશે. આ માટે મમતાએ 22 નેતાઓને પત્ર પણ લખ્યો છે.
જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરળના સીએમ પિનરાઈ વિજયન, ઓડિશાના સીએમ નવીન પટનાયક, તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન અને પંજાબના સીએમ ભગવંત માનનો સમાવેશ થાય છે. મમતા બેનર્જીએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ પત્ર લખ્યો છે.
ધનખરે હિંસા પર ચિંતા વ્યક્ત કરી
અગાઉ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના સસ્પેન્ડ કરાયેલા બે કાર્યકર્તાઓની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હાવડા જિલ્લાના કેટલાક ભાગોમાં શનિવારના વિરોધ બાદ બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને આ સમસ્યાનો કડકાઈથી સામનો કરવા અને કાયદો તોડનારાઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું.