ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટીએ નવી 6 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ધ્રાગંધ્રા થી છત્રસિંહ એસ.ગુંજારિયા, મોરબી થી જ્યંતિ પટેલ, રાજકોટ પશ્ચિમ થી મનસુખ કલારિયા જામનગર ગ્રામ્ય થી જીવન કુંભારિયા, ગારિયાધારથી દિવ્યેશ ચાવડા અને બોટાદ બેઠક પરથી રમેશ મેરની જગ્યાએ મનહર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે વિચારી-વિચારીને ઉમેદવારોની યાદી જાહેર કરતી હોય તેવું લાગે છે, પણ એકમાત્ર અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસ સત્તા પર છે ત્યારે હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરાઈ.
વિધાનસભાની ચૂંટણીને લઇને વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને રીપિટ કરવા કે નહીં તેના પર મંથન ચાલતું હોવાની અટકળો ચાલી રહી હોવાની સુત્રો તરફથી માહિતી મળી રહી છે. આ પહેલા મધુસુદન મિસ્ત્રીએ રાજેન્દ્રસિંહ ઠાકોરના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પણ હજુ સુધી અરવલ્લી જિલ્લાની એકેય બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ નથી ત્યારે એવી અટકળો ચાલી રહી છે કે પાર્ટી ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે.
બાયડ બેઠક પર જશુ પટેલ કે મહેન્દ્રસિંહ વાઘેલા બંન્ને ઉમેદવારોના નામ ચર્ચામાં છે તો મોડાસા વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને રિપિટ કરાશે પછી નવો ચહેરો આવશે તેને લઇને મંથન કરાતું હોવાની માહિતી મળી છે. એટલું જ નહીં કેટલાક ઉમેદવારો તો દિલ્હી અને અમદાવાદ સુધી ધક્કા ખાઈ રહ્યા છે તો બીજી બાજુ ભિલોડા બેઠક પર નવો જ ચહેરો મુકવાનો હોઇ ઉમેદવારોમી લાંબી કતારો છે એટલે અહીં કોને ટિકિટ આપવી તે પ્રશ્ન છે.