દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને પગલે સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારના અસરગ્રસ્ત લોકોના જાનમાલને થતુ નુકસાન અટકાવવા આગમચેતીના ભાગરૂપે રાજપીપલા નગરપાલિકા દ્વારા સર્વે કામગીરી શરૂ કરાઈ છે.
રાજપીપળાના જુદા-જુદા વિસ્તારો ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં નજીકના નિયત આશ્રય સ્થાનોમાં અંદાજે 8975 લોકોના કરાયેલાં હંગામી અને સલામત સ્થળાંતર બાદ અસરગ્રસ્ત પરિવારો તેમના મૂળ રહેઠાણના નિવાસ સ્થાનોએ પરત ફરતા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કુલ 34 જેટલી સર્વેક્ષણ ટીમોએ યુદ્ધના ધોરણે જરૂરી સર્વેની કામગીરીનો પ્રારંભ કર્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા પ્રસાશન દ્વારા દેડીયાપાડા માટે 10 ટીમ, સાગબારા માટે 07 ટીમો, નાંદોદ માટે 03 ટીમ, ગરૂડેશ્વર માટે 08 ટીમ, તિલકવાડા માટે 06 અને રાજપીપલા નગરપાલિકા વિસ્તાર માટે 04 ટીમ સહિત કુલ 34 જેટલી ટીમ દ્વારા જિલ્લામાં થયેલા ભારેથી અતિભારે વરસાદને લીધે અસરગ્રસ્ત વિસ્તારના પરિવારોના કુટુંબની સંખ્યા, ઘરવખરીને નુકસાન, નાશ પામેલ અંશત: તથા સંપૂર્ણ નાશ પામેલ ઝુંપડા-મકાનની વિગતો સહિતની બાબતો આ સર્વેક્ષણમાં આવરી લેવાયેલ છે. અને તે મુજબ ઉક્ત ટુકડીઓ જિલ્લાના જે તે સંબંધિત વિસ્તારોમાં તાલુકા વિકાસ અધિકારીઓ આગેવાનીમાં સર્વેની કામગીરી કરી રહ્યાં છે.
આ સર્વે બાદ તુરંત જ સંબંધિત અસરગ્રસ્તોને સરકાર ના ધારાધોરણ મુજબ મુજબ ઘરખકરી સહાય, કપડા સહાય અને અંશત: કે સંપૂર્ણ પણે નાશ પામેલ ઝુંપડા-મકાન અંગેની જરૂરી સહાય ચૂકવવાની કામગીરી પણ બનતી ત્વરાએ હાથ ધરીને જે તે અસરગ્રસ્ત લાભાર્થીઓને ચૂકવવાપાત્ર થતી સહાયની રકમનો લાભ અપાશે. રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં આજે નગરપાલિકા અને નાંદોદ મામલતદાર કચેરીની સંયુક્ત સર્વે ટુકડીઓએ સંતોષ ચોકડી પાસે સૂર્યા પ્લાઝા કોમ્પલેક્ષ પાસેના ખાડા ફળિયા અને તેની આસપાસનો વિસ્તાર, માઈકલ પુલની નીચેના ભાગે નરસિંહ ટેકરી તેમજ સીંધીવાડ પાછળ કાલિકા માતા મંદિર નજીકના અસરગ્રસ્ત વિસ્તારોમાં ચીફ ઓફિસર રાહુલ ઢોડિયાની સીધી દોરવણી હેઠળ આજે સવારથી જ સર્વેની જરૂરી કામગીરી હાથ ધરીને મોડી સાંજ સુધી પૂર્ણ કરવામાં આવી છે.