ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં 357 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં વહીવટીતંત્ર સફળ થયું છે. સાથે સંકટ સમયે આશરો મળતા કઠોદરા ગામના લોકો એ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં કઠોદરા, ઓભા, આસરમા અને પાંજરોલી ગામમાં મુશળધાર વરસાદના લીધે જનજીવન પ્રભાવિત બન્યું હતું. જેનાં કારણે કુલ 357 લોકોને વહીવટીતંત્ર દ્વારા સલામત જગ્યાએ સ્થળાંતર કરાયા હતાં.વંદીખાડીનું પાણી કઠોદરા ગામમાં આવવાથી ગ્રામ પંચાયત તથા પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે.જ્યારે કિમ નદીનું પાણી પ્રવેશવાના કારણે ઓભામાં કુલ 88, આસરમા માં કુલ 112 તથા પાંજરોલીમાં કુલ 103 લોકોને સ્થળાંતરિત કરાયા છે. આમ, આશ્રય સ્થાનમાં પાંજરોલીમાં કુલ 103 આશરો આપ્યો છે. સમગ્ર તાલુકામાંથી 357 વ્યક્તિઓને સલામત સ્થળે પહોચાડવામાં વહીવટીતંત્ર સફળ સફળ થયું છે. આ માટે કઠોદરા ગામના નિકુલભાઈ વસાવા સરકાર તથા જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યકત કરતાં જણાવ્યું કે, અમારાં ઘરમાં વંદીખાડીનું પાણી ભરાવાના કારણે ગ્રામપંચાયતમાં રહેવા તથા જમવાની પ્રાથમિક સુવિધા પૂરી પાડી છે.આમ, સંકટ સમયે આશરો મળતા તેમને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં પણ લોકોને મદદ પહોંચાડવામાં આવી હતી.
કચ્છમાં ભારે વરસાદના પગલે મુંદરા તાલુકાના મુંદરા શહેર અને બારોઇમાં ઠેર ઠેર પાણી ભરાઇ જતાં સોમવાર રાત્રીથી મુંદરા-બારોઇ નગરપાલિકા તથા સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ન ભરાય તે માટે તથા પાણીના પ્રવાહને અન્ય દિશામાં વાળવા માટે પાંચ જેસીબી કામે લગાડીને રાહત વ્યવસ્થાપનની કામગીરી કરવામાં આવી હતી. આ અંગે મુંદરા-બારોઇ નગરપતિ કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું કે, સોમવાર રાતના 12 કલાકથી પરિસ્થિતીની કાબૂમાં લેવા સુધરાઇના સ્ટાફ સાથે પદાધિકારીઓ તથા સંબંધિત તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતની ટીમ ખડેપગે રહીને બચાવ અને રાહત વ્યસ્થાપનની કામગીરી કરી રહી છે