નવસારી જિલ્લામાં ‘ઓપરેશન નિરામયા’ અંતર્ગત વરસાદી સ્થિતી બાદ સાફ-સફાઇ, કાદવ-કીચડ દૂર કરવા, દવા છંટકાવ માટે સુરત મહાનગરપાલિકાની 200 કામદારોની ટીમ 6 જેટલા જે.સી.બી, પાંચ ડી વોટરીંગ પમ્પ, ટીપર ટ્રક, ગલ્ફર મશીન જેવા 47 થી વધુ અદ્યતન સાધનો સાથે મદદમાં પહોચી ગઇ છે. એટલું જ નહિ, 40 આરોગ્ય ટીમ પણ નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગ અટકાયત અને નિયંત્રણ માટે કાર્યરત કરવામાં આવેલી છે. અસરગ્રસ્ત નવસારી જિલ્લામાં લોકોની આરોગ્ય સુરક્ષા માટે 40 ટીમ કાર્યરત કરવામાં આવી છે.
વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 14,900 જેટલા લોકોનું સલામત સ્થળે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલું છે. મુખ્યમંત્રીએ આ સ્થળાંતરિત લોકોને આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની અને રહેવાની યોગ્ય સુવિધા મળી રહી છે તે અંગેની જાણકારી પણ સંબંધિત કલેકટરો પાસેથી મેળવી હતી. સ્થાનિક સેવાસંગઠનો અને સેવાભાવી સંસ્થાઓનો આ હેતુસર સહયોગ મળ્યો છે. નવસારીમાં એન.ડી.આર.એફ ની 4 અને એસ.ડી.આર.એફ ની 6 ટીમ તૈનાત છે અને જરૂર જણાયે વધુ ટીમ મોકલવા પણ કેન્દ્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે તેમ આ વિડીયો કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું. તંત્રવાહકોએ રાતભર કામગીરી કરી પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા હજૂ પણ આ બચાવ કામગિરી સતત ગણદેવી, નવસારી સહીતના વિસ્તારોમાં ચાલી રહી છે.
બીજી તરફ ડાંગ જિલ્લાની સ્થિતીની સમીક્ષા આજે મુખ્યમંત્રીએ કરી હતી જેમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે વરસાદનું જોર હવે ઘટી રહ્યું છે તેમજ નદીઓમાં પાણી ઓસરવા લાગ્યા છે. સાપૂતારા તરફ જતો માર્ગ જે માટી અને ભેખડ ધસી જવાને કારણે બંધ હતો તે નાના વાહનો માટે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.
આજે ખાસ કરીને મુખ્યમંત્રીએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં વરસાદની સ્થિતી અને બંદરો પર લગાવવામાં આવેલા ચેતવણી સૂચક સિંગ્નલ તથા માછીમારો દરિયામાં ન જાય તેની સાવચેતીના આગોતરા પગલાંની પણ વિસ્તૃત વિગતો મેળવી હતી.