પંચમહાલ, શહેરા
શ્રાવણ મહિનામાં શિવની ભક્તિ અને શક્તિની મહિમાનો અપરંપાર છે.શ્રાવણ શિવભકતો ભોળાનાથને રિઝવવા માટે શિવલિંગ ઉપર દુધ,જળ,સહિતની સુગંધિત વસ્તુઓનો અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. પંચમહાલ જિલ્લામાં પૌરાણિક અને સ્વયંભુ, ઐતિહાસિક શિવાલયો આવેલા છે. શ્રાવણ માસ આવતા આ શિવાલયોમાં ભાવિકોની ભીડ ઉમટી પડે છે. શહેરા તાલુકાના કોઠા ગામમાં અને પાનમ ડેમના કિનારે લીલીછમ વનરાજીઓની વચ્ચે આવેલું ડેઝરનાથ મહાદેવ શિવભક્તોનુ આસ્થાનુ કેન્દ્ર બની રહ્યું છે. અહીં આવતા દરેક ભાવિક ભકતોની ઈચ્છા ડેઝરનાથ મહાદેવ પુરી કરે છે. પંચમહાલ જીલ્લાના વિવિધ શિવાલયો પૈકીનું એક શહેરા તાલુકાના કોઠા ગામે પાનમડેમની નજીક ડેઝરનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. શહેરા તેમજ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને લુણાવાડા તાલુકાની ત્રિભેટ સરહદે પાનમના જંગલોની વચ્ચે આ શિવાલય આવેલું છે. મુળ આ ડેઝરનાથ મહાદેવનું મંદિર પહેલા પાનમ નદીના કિનારે કેળડેઝર ગામ પાસે હતું પણ પાનમ ડેમ બનવાને કારણે વર્ષો જુનું ડેઝરનાથ મહાદેવ મંદિર ડુબમાં જતા કોઠા ગામ પાસે નવું મંદિર બનાવવામાં આવ્યું હતું જે વર્ષોપુરાણું જુનુ મંદિર હતું તે મંદિર 500 વર્ષ જુનું માનવામા આવે છે. જુનુ મંદિર પાણીમાં ડુબમાં જતા રાજ્ય સરકારની પુનઃ વસવાટ યોજના હેઠળ નવા શિવાલયનુ નિર્માણ કાર્યહાથ ધરવામાં આવ્યું હતું.તેના તેના બાંધકામની શરૂઆત જુન 1978માં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી માણેકલાલ મગનલાલ ગાંધીના હસ્તે શિલારોપણ વિધી કરવામાં આવી હતી. શિવાલયનું બાંધકામ 1979-80માં પુરુ થતાં 07-03-1980 ના રોજ મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. શિવાલયમાં આવેલી શિવ પંચાયતન દેવની મુર્તિ પ્રતિષ્ઠાની વિધિ શ્રી 1108 પુજ્યપાદ જગતગુરૂ શંકરાચાર્ય મહાકાજ શ્રી શારદાપીઠશ્વર શ્રી અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સ્વામીજીના શુભ કરકમળો દ્વારા સવંત 2036 ના રોજ ફાલ્ગુન કૃષ્ણપક્ષ પાંચમના 07-03-1980 નાં રોજ કરવામાં આવી હતી. આ ડેઝરનાથ મહાદેવ મંદિરે શિવારાત્રીનો મોટો મેળો ભરાય છે. શ્રાવણ માસમાં પણ પંચમહાલ.મહિસાગર સહિતના આસપાસના વિસ્તારમાંથી પણ ભાવિકો મોટી સંખ્યામાં દર્શને આવે છે. કહેવાયછે ડેઝરનાથ મહાદેવ દરેક ભાવિક ભકતોની ઈચ્છા પુરી કરે છે.
પંચમહાલઃ પાનમડેમના જંગલોમાં લીલીછમ વનરાજી વચ્ચે બિરાજતા ડેઝરનાથ મહાદેવ
Advertisement
Advertisement