અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં ચોરી જેવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ હજુ જુગારીયાઓનો કોઇ જ પત્તો નથી તો હવે તસ્કરોએ સ્થાનિક પોલિસને લપડાક આપી છે. ભિલોડાના આનંદ નગર સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવી સોના-ચાંદીના દાગીના મળીને 10 લાખની મત્તાની ચોરી કરીને પલાયન થઇ જતાં પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
ભિલોડા તાલુકાના વિરપુરના મૂળ રહેવાસી દુર્ગા કુમારી રાકેશભાઈના ઘરે મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. કુટુંબમાં વડીલનું અવસાન થતાં મરણ પ્રસંગે બહારગામ જવાનું થયું હતું ત્યારે રાત્રીના સમય તસ્કરો ત્રાક્ટયા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. સ્થાનિક લોકોએ ઘરનું તાળું તૂટેલી હાલતમાં જોતા જ તાત્કાલિક મકાન માલિકને ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ ઘરમાં તપાસ કરતાં તિજોરી, બીજા વપરાશના વાસણો તથા કપડાઓ વેરવિખેર હાલતમાં હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલિસને જાણ કરતા પોલિસની ટીમ આવી પહોંચી હતી અને ભિલોડા પોલિસ મથકે ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દુર્ગાકુમારી રાકેશભાઈ નિનામાએ કુલ 10,86,000 રૂપિયાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે, જેમાં સોનાની ચેન નંગ – 4, કાનની બૂટી ઝૂમર સાથે – 4 નંગ, કાનની હેર, સોનાની વિટી નંગ – 8, ચાંદીના ઝાંઝર ત્રણ જોડ, ચુની, સહિત રોકડ 44 હજાર મળી કુલ 10,86,000/- ની ચોરી થતાં પોલિસે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.