વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ-ભુજમાં ગુજરાત સરકાર દ્વારા રૂ.375 કરોડ ના ખર્ચે નિર્માણ પામેલા સ્મૃતિ વન ભૂકંપ મેમોરીયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, સ્મૃતિવન દુનિયાનું નજરાણુ બનશે. વડાપ્રધાનએ વર્ષ 2001ના ભૂકંપની આપદાને યાદ કરતા આ સ્મારકો પોતાના સ્વજનો ગુમાવનારા લોકોને અર્પિત કર્યા હતા. આ સ્મારક વેદના અને આફતને અવસરમાં બદલવાના કચ્છ-ગુજરાતના ખમીરનું પ્રતીક છે. વડાપ્રધાને આ સ્મારકને દુનિયાના આ પ્રકારના અન્ય સ્મારકોમાં શ્રેષ્ઠ ગણાવતા ભૂજીયો ડુંગર દેશ દુનિયામાં ગુંજતો થાય તે માટે લોક સહયોગ માગ્યો હતો.
સ્મૃતિ વનની મુલાકાતે ભૂકંપ સાથે સંકળાયેલી અનેક યાદો તાજી કરી છે તેમ જણાવતા વડાપ્રધાનએ મન ખૂબ ભાવનાઓથી આજે ભર્યું છે તેમ ઉમેર્યું હતું. ભૂકંપ વખતની સ્થિતિ વર્ણવતા એમના તત્કાલીન મુખ્યમંત્રી સમય કાળના સંદર્ભમાં વધુમાં કહ્યું કે, તે સમયે મેં અને મારી સરકારે ભૂકંપ પીડીતોની વચ્ચે જઈને સધિયારો આપી કચ્છના લોકોની ખમીરતાને યાદ અપાવી હતી. દિવાળી પણ ભૂકંપ પીડીતોની વચ્ચે પસાર કરી હતી. ભૂકંપ પછી કેટલાક લોકો એવું કહેતા હતા કે, કચ્છ ક્યારેય બેઠું નહિ થાય, પણ કચ્છીલોકોએ પોતાની મહેનત અને જુસ્સાથી આજે કચ્છની તસવીર બદલી નાખી છે. ભૂકંપ વખતે મે કહ્યું હતું કચ્છ ફરી બેઠું થશે. આપણે આપત્તિને અવસરમાં બદલીને રહીશું. આજે એ સાકાર થયું છે. આ સંકલ્પ સિદ્ધ થયો છે તેના સંદર્ભમાં વડાપ્રધાનએ કહ્યું કે મને કચ્છના રણમાં ભારતનું તોરણ દેખાય છે.