નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી પ્રથમ પદવીદાન સમારોહ
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આઈ.પી.સી, સી.આર.પી.સી અને એવીડન્સ એકટના કાયદાઓમાં સુધારો કરાશે : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ
……..
છ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય તેવા ગુનાઓમાં “ફોરેન્સિક તપાસ” ફરજિયાત કરવામાં આવશે
……..
-:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ:-
થર્ડ ડિગ્રીના આધારે સજા આપવાના બદલે ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા સાયન્ટિફિક પુરાવાના આધારે સજા અપાવવાનો નિર્ધાર
ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા ફોરેન્સિક સાયન્સ સાથે ઇન્ટીગ્રેટ કરાશે
રોજગારીની સાથે સાથે સમાજ વ્યવસ્થાને અને દેશની કાયદો વ્યવસ્થા સહિતની સિસ્ટમને અપગ્રેડ કરવા પદવીધારકોને આહવાન
દેશભરમાં આગામી સમયમાં વધુમાં વધુ ફોરેસ્ટિક સાયન્સ લેબનું નિર્માણ કરાશે : જિલ્લા મથકોએ મોબાઈલ ફોરેન્સિક વાન કાર્યરત કરાશે
આજે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ૧૧૩૨ જેટલા વિધ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ
…………
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના નૂતન ભવનનું ભૂમિપૂજન કરાયું
………..
NFSU કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને સેન્ટર ઓફ એક્સેલન્સ ડિએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીનું પણ ઉદ્ઘાટન કરાયું
………..
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશના આઇપીસી-સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં નજીકના ભવિષ્યમાં જ કેટલાક જરૂરી સુધારાઓ કરવા જઈ રહ્યા છે જેના થકી દેશભરની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને કન્વીક્સન રેટનો ગ્રાફ ઉપર આવશે. જે પૈકીનો એક મહત્વપુર્ણ સુધારો એ હશે કે ગંભીર ગુનાઓ કે જેમાં છ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય તેવા ગુનાઓમાં “ફોરેન્સિક તપાસ” ફરજિયાત કરવામાં આવશે. જેનાથી આવા જઘન્ય ગુનાઓમાં દોષ સિદ્ધિનો દર વધારવામાં મદદ મળશે તેમ જ તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા પણ વધશે આ માટે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ફોરેન્સિક સાયન્સ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. આ જરૂરી સુધારા કરતા પહેલાં સમગ્ર દેશમાં ફોરેન્સિક નિષ્ણાંત અને સંબંધિત સપોર્ટ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉભી કરી દેવામાં આવશે.
ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન મોબાઈલ વેન વિશે જણાવતા અમિત શાહે કહ્યું હતું કે, ગુનાના સ્થળ ઉપર વૈજ્ઞાનિક પરીક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી ફોરેન્સિક વાન તમામ જરૂરી અદ્યતન સાધનો સાથે તૈયાર કરવામાં આવેલી મોબાઇલ લેબ છે. જે આત્મ નિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરે છે. આ મોબાઇલ લેબ સંપૂર્ણ સ્વદેશી ભારતીય કંપનીએ બનાવેલી લેબ છે જે સમગ્ર દેશના દરેક જિલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી દેશમાં તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા વધારી જઘન્ય ગુનાઓમાં દોષ સિદ્ધિનો દર વધારી શકાય. હવે થર્ડ ડીગ્રીનો જમાનો નથી, ગુનાઓના ડિટેકશન માટે ફોરેન્સિક સપોર્ટને આધારે પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને જરૂરી સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવામાં મદદ કરી ગુનેગારોને મહત્તમ સજા અપાવવામાં ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા છે.
વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા શાહે ઉમેર્યું કે, આ યુનિવર્સિટી જે ગતિએ દરેક પરિમાણોથી વિકાસ કરી રહી છે તે જોતાં આ યુનિવર્સિટી વિશ્વભરમાં નંબર-1 સ્થાન પર પહોંચશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી તેમણે કહ્યુ કે, માત્ર ભારત દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ફોરેન્સિક એક્સપર્ટની જરૂરિયાત છે ત્યારે આ યુનિવર્સિટી નિષ્ણાતો પૂરા પાડવાનું મહત્વપૂર્ણ કામ કરશે તેવો મને વિશ્વાસ છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના સહયોગથી ભોપાલ, ગોવા, ત્રિપુરા, મણીપુર સહિતના રાજ્યોમાં ફોરેન્સિક લેબોરેટરી તૈયાર કરી દેવામાં આવી છે જ્યારે પુણે, કર્ણાટક સહિતના અનેક રાજ્યો સાથે આ પ્રક્રિયા ચાલી રહી છે. ૭૦થી વધુ દેશોએ એનએફએસયુ સાથે એગ્રીમેન્ટ કરી સ્વીકૃતિ પ્રદાન કરી છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાત ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીથી શરૂ કરેલી સફર આજે આ નેશનલ યુનિવર્સિટી બનીને આજે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. ત્યારે આપ સૌ પણ પોતાની જવાબદારી સાથે દેશના સર્વાંગી વિકાસ અને સામાજિક જવાબદારીમાં પણ પોતાનું દાયિત્વ નિભાવશો એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થીઓને સમાજ અને સિસ્ટમના અપગ્રેડેશન માટે પણ કામ કરવા અને પોતાની માતૃભાષાને ક્યારેય ન ભૂલી પોતાના ઘરે માતૃભાષામાં જ બોલવા-લખવા અને વાંચવા અનુરોધ કર્યો હતો.
અમિત શાહે વધુમાં જણાવ્યુ કે, દેશમાં દોષ સિદ્ધિ Covinction rate વધારવા માટે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે કૌશલ્ય ધરાવતા મેન પાવરની ખુબ જરૂરીયાતને ઘ્યાનમાં રાખીને એનએફએસયુની સ્થાપના કરવામાં આવી હતી. ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફોરેન્સિક મેનપાવર, ફોરેન્સિક ટેકનોલોજી અને ફોરેન્સિક રિસર્ચ આ ચાર સ્તંભોને મજબૂત કરીને વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે ભારતને સક્ષમ બનાવવાનું લક્ષ્ય છે. આ ચાર સ્તંભોને મજબૂત બનાવીને ભારતને ફોરેન્સિક રિસર્ચના ક્ષેત્રે દુનિયાનું હબ બનાવાશે. એનએફએસયુ માત્ર ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે નિષ્ણાતો તૈયાર કરવા પૂરતી જ મર્યાદિત નથી પરંતુ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના તમામ અંગો જેવા કે પોલીસ ન્યાયપાલિકા વગેરેને પણ તાલીમ આપી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 28,000થી વધુ અધિકારીઓને એનએફએસયુ ખાતે તાલીમ અપાઈ ચૂકી છે.
તેમણે ઉમેર્યું કે, આજે આ યુનિવર્સિટી જે ગતિએ વિકાસ કરી રહી છે, તે આગામી દાયકામાં વિશ્વની સૌપ્રથમ નામના મેળવતી યુનિવર્સિટી બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આજે આ યુનિવર્સિટી ખાતે ડી.એન.એ સેન્ટર ફોર એક્સેલેન્સ, સેન્ટર ફોર એકસેલન્સ સાયબર સિક્યુરિટી અને સેન્ટર ફોર એક્સેલેન્સ ઈન્વેસ્ટીંગ એન્ડ ફોરેન્સિંક સાઇકોલોજી જેવા ત્રણ નવીન આયામો કાર્યરત થવાથી ફોરેન્સીક ક્ષેત્રે આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે ન્યાયીક સિસ્ટમને મજબૂત કરવામાં વધુ મદદ મળશે.
તેમણે કહ્યુ કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની દેશમા સૌપ્રથમવાર સ્થાપના થઈ હતી ત્યારથી જ સાયકોલોજી વિષય પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આજે આ યુનિવર્સટી એ સમગ્ર દેશનું સૌપ્રથમ વાર આ ત્રણ એકસેલન્સ શરૂ કર્યા છે. જેના પરિણામે અધ્યયન, અધ્યાપન, ટ્રેનિંગ અને રિસર્ચ માટે મહત્વના પુરવાર થશે.
NFSUના કુલપતિ, ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, 2019-21 અને 2020- 2022ની બેચના કુલ 65 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ,યુનિવર્સિટીના 1098 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી અને અન્ય 10 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી તથા એક વિદ્યાર્થીને ડી.એસસી.એનાયત કરવામાં આવી છે.
ડો. વ્યાસે ઉમેર્યું કે, આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે રાજય સરકાર દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને ફાળવવામાં આવેલી નૂતન જગ્યાનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત અને NFSU કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ડિએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીનું પણ ઉદ્ઘાટન કરાયું હતું.
આ અત્યાધુનિક તમામ સેન્ટર આંતરરાષ્ટ્રીય સ્તરના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ફોરેન્સિક નિષ્ણાતો, કાયદો અને વ્યવસ્થા અમલીકરણ વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને ફોરેન્સિક વિજ્ઞાન સંબંધિત વિવિધ વિશેષ વિષયો જેવા કે સાયબર ક્રાઈમ તપાસ, સાયબર સુરક્ષા, ફોરેન્સિક મનોવિજ્ઞાન, ફોરેન્સિક માટે આંતરરાષ્ટ્રીય સ્તરની વિશિષ્ટ તાલીમ પ્રદાન કરશે. એકાઉન્ટિંગ, ફોરેન્સિક પ્રશ્ન દસ્તાવેજ, ફિંગરપ્રિન્ટ, ડીએનએ ફિંગરપ્રિન્ટ, મલ્ટીમીડિયા, બેલિસ્ટિક વગેરેની તાલીમ આપવાનુ અયોજન કરવામા આવશે.