અરવલ્લી જિલ્લાાં ભારે વરસાદને કારણે ધોવાયેલા કોઝ વે નું આખરે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા અને શામળાજી પંથકમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે મેશ્વો જળાશયમાંથી ઓવર ફ્લો થયેલ પાણી કોઝ વે ઉપર ફરી વળતા કોઝ વે ધોવાઈ ગયો હતો. ધોવાયેલા કોઝ વે ને હાલ પૂરતો પુરી દેવામાં આવી રહ્યો છે અને રસ્તાને કાર્યરત કરવાની કામગીરી શરૂ કરાઈ રહી છે.
છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી શામળાજીથી રેફરલ હોસ્પિટલ જવાનો કોઝ વે ધોવાઈ ગયો હતો. એટલું જ નહીં રસ્તા પર મોટો ખાડો હોવા છતાં રસ્તો બંધ કરવામાં આવ્યો નહોતો અને કોઇપણ પ્રકારનું બેરિકેટિંગ પણ ન મુકવામાં આવતા રસ્તો લોકો માટે જોખમી સાહિત થયો હતો. જેને કારણે એક્ટિવા ચાલક આ ખાડામાં ખાબક્યો હતો. સમગ્ર ઘટનાને લઇને મેર ગુજરાતે આ બાબતે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. મેરા ગુજરાતના અહેવાલ પછી તંત્રએ તાબડતોબ કોઝ વે ના સમારકામની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હાલ તો આ કોઝ વે ના ખાડામાં ડસ્ટથી પુરી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે જોકે પાકા પાયે નવા કોઝ વે બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે તે પણ એક સવાલ છે. સ્થાનિક લોકોની અવર-જવર માટે રસ્તા ફરીથી કાર્યરત થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગે છે.