કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે જમ્મુમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના 83મા સ્થાપના દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ સમારંભમાં જમ્મુ- કાશ્મીરમાં ઉપરાજ્યપાલ મનોજસિંહા, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ અને કેન્દ્રીય ગૃહ સચિવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીની બહાર CRPFના સ્થાપના દિવસનું આયોજન કરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે એક નિર્ણય લીધો છે કે, તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની વાર્ષિક પરેડ દેશના અલગ અલગ ભાગોમાં યોજવામાં આવશે. આની પાછળનો ઉદ્દેશ એ છે કે, દેશની સરહદો અને આંતરિક સુરક્ષામાં તૈનાત તમામ CAPF સંગઠન અલગ અલગ ભાગોમાં જઇને દેશની જનતા સાથે આત્મીય સંબંધ સ્થાપિત કરે અને દેશની સંસ્કૃતિની સાથે હળીમળીને પોતાને હરહંમેશા ડ્યૂટી માટે સમર્પિત કરે. આ અંતર્ગત CRPFની વાર્ષિક પરેડનું આજે ઐતિહાસિક શહેર જમ્મુમાં આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ ભૂમિ પરથી જ પંડિત પ્રેમનાથ ડોગરા અને શ્યામાપ્રસાદ મુખરજીએ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવીને ‘દેશને બે પ્રધાન, બે નિશાન અને બે વિધાન નહીં ચાલે’ એના પર આંદોલન કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત પ્રેમનાથ ડોગરા બંનેનું ‘એક પ્રધાન, એક નિશાન અને એક વિધાન’નું સપનું આજે પૂરું થયું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, CRPFની સ્થાપનાથી લઇને આજ સુધીમાં 2340 CRPF કર્મચારીઓએ બલિદાન આપ્યું છે. પહેલા દેશની સરહદોની સુરક્ષા કરતા અને પછી દેશની આંતરિક સુરક્ષા, નક્સલવાદ અને આતંકવાદ સામે લડતા લડતા તેમજ રમખાણોનો સામનો કરતી વખતે બલિદાન આપનારા તમામ CRPFના જવાનોને આખા દેશ વતી વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પણ કરવા માંગુ છુ. જ્યારે પણ દેશનો ઇતિહાસ આલેખવામાં આવશે ત્યારે આ 2340 કર્મચારીઓના બલિદાનનો સોનેરી અક્ષરોથી ઉલ્લેખ કરવામાં આવશે. જેમને મરણોપરાંત સન્માન મળ્યું છે તેમના પરિવારજનોને હું કહેવા માંગુ છુ કે, તમારા દીકરા, પતિ, ભાઇની શહાદત ક્યારે નિષ્ફળ નહીં જાય અને દેશ યુગો યુગો સુધી તેમની શહાદતને યાદ રાખશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, CRPFએ પોતાનો વિચાર કર્યા વગર દેશ અને દેશવાસીઓની સુરક્ષાનો વિચાર કરવાની જે એક પરંપરા ઉભી કરી છે તેનાથી મને વિશ્વાસ છે કે, આ દળના તમામ જવાનો આ પરંપરાને આવા જ સમર્પણ સાથે આગળ વધારશે.શાહે જણાવ્યું હતું કે, CRPF માત્ર એક CAPF નથી પરંતુ દેશના દરેકે દરેક બાળકો પણ CRPFના જવાનોના સમર્પણ, બલિદાન અને ત્યાગની ભાવનાની પ્રશંસા કરી રહ્યાં છે. ગમે તેવી પરિસ્થિતિમાં, CRPFના જવાનો આવતા જ લોકોના મનમાં વિશ્વાસ બેસી જાય છે કે, હવે CRPF સ્થિતિને અંકુશમાં લઇ લેશે અને આ વિશ્વાસ અનેક વર્ષોના પરિશ્રમ તેમજ ઉજ્જવળ ઇતિહાસના આધાર પર આવે છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, ભલે નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તાર હોય, કે પછી કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદીઓનો સામનો કરવાનો હોય કે પછી ઉત્તરપૂર્વમાં અશાંતિ ફેલાવનારા સમૂહનો ખાતમોનો બોલાવવાનો હોય અને ત્યાં શાંતિની સ્થાપના કરવાની હોય, આ ત્રણેય ક્ષેત્રોમાં CRPF દ્વારા ખૂબ જ પ્રશંસનીય ભૂમિકા નિભાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આજના દિવસે જ 1950માં દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર પટેલે CRPFને ધ્વજ આપ્યો હતો. ત્યાંથી શરૂ થયેલું આ સંગઠન આજે 246 બટાલિયન ધરાવે છે અને 3,25,000 જવાનોના દળ સાથે દેશનું સૌથી મોટું સશસ્ત્ર દળ બની ગયું છે જેની વિશ્વસનીયતાની તાકાત માત્ર દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયાના શસસ્ત્ર દળો સ્વીકારે છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આજે CRPFની સ્થાપના દિવસ નિમિત્તે આપણે હોટ સ્પ્રિંગને કેવી રીતે ભૂલી શકીએ. 21 ઓક્ટોબર 1959ના રોજ જ્યારે ચીની સૈન્યએ હુમલો કર્યો હતો ત્યારે CRPFના જવાનો ખૂબ જ ઓછી સંખ્યામાં હોવા છતાં તેમણે અડગ રહીને સામનો કર્યો હતો અને એક એક ઇંચ જમીન માટે વીરતાથી લડીને પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું હતું અને આખો દેશ એ ઘટનાને ક્યારેય ભૂલી શકે તેમ નથી. આથી જ 21 ઓક્ટોબરના દિવસને દેશના તમામ પોલીસ દળ દ્વારા પોલીસ દિવસ તરીકે ઉજવીને હોટ સ્પ્રિંગ પર CRPFના જવાનોએ જે વીરતા અને બલિદાનનો જુસ્સો બતાવ્યો હતો તેનાથી પ્રેરણા લઇને દેશની આંતરિક સુરક્ષા માટે ફરીથી પોતાની જાતને સમર્પિત કરે છે. 9 એપ્રિલ 1965ના રોજ કચ્છમાં સરદાર પોસ્ટ પર જ્યારે પાકિસ્તાની ઇન્ફેન્ટ્રી બ્રિગેડે હુમલો કર્યો હતો ત્યારે પણ CRPFના જવાનો ત્યાં લડ્યા હતા. એ જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને શરીરના લોહીનું છેલ્લું ટીપું વહી ગયું ત્યાં સુધી લડતા રહ્યા અને દેશની ભૂમિને બચાવવા માટે પોતાના તરફથી તમામ પ્રયાસો કર્યા હતા. એ બંને ઘટનાઓને ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખવામાં આવી અને CRPF તેમજ આખો દેશ હંમેશા આ બંને ઘટનાઓ પર ગર્વ અનુભવે છે આથી જ 9 એપ્રિલને આપણે શૌર્ય દિવસ તરીકે પણ ઉજવણીએ છીએ.
અમિત શાહે જણાવ્યું હતું કે, આખા દેશને CRPF પર હંમેશા ગૌરવ થાય છે. આજે CRPFનો સ્થાપના દિવસ છે અને 3,25,000 જવાનોનું આ દળ આજે દેશની આંતરિક સુરક્ષા અને દેશની સુરક્ષા માટે પોતાને ફરીથી સમર્પિત કરે અને CRPFના ઐતિહાસિક રેકોર્ડને તેજસ્વીતા સાથે હજુ પણ વધારે આગળ વધારવાનો સંકલ્પ કરે.