સંદેશ લાઈબ્રેરીના ઉપક્રમે આકરુન્દ ગામની આકરુન્દ આદર્શ સરકારી પ્રાથમિક શાળા ખાતે સંદેશ લાઈબ્રેરીના સભાખંડમાં નવોદિત સર્જકોનું ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું.
નવોદિત લેખકો સાહિત્યકારોને માર્ગદર્શન મળી એ હેતુથી આયોજિત સર્જક સ્નેહ મિલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યમાં સર્જકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ તુષાર શુક્લ, જાણીતાં નાટય લેખિકા, અભિનેત્રી અને દિગ્દર્શક અર્ચના ચૌહાણ, સંદેશ ન્યૂઝ ચેનલનાં એન્કર ક્રિશ્ના પટેલ અને સુખ્યાત કટાર લેખક, વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી સર્જકોને સંબોધન કર્યું હતું.
કવિ તુષાર શુક્લએ આગવા અંદાજમાં કાવ્ય સર્જન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ” જેમ ફૂલ ખીલવાનો સમય સ્ટોપ વૉચથી માપી શકાય નહિ, એમ કવિતા ઉગવાનો સમય પણ નક્કી કરી શકાય નહિ. વૃક્ષને જેટલી સહજતાથી પર્ણ ફૂટે એટલી જ સહજતાથી કવિતા ખીલતી હોય છે. કવિતાને વ્યાખ્યામાં બાંધવી મુશ્કેલ છે. એમ છતાં કહી શકાય કે વશમાં રાખી ન શકાય તેવી ઉર્મિઓનું તત્કાલ પ્રાગટય એટલે કવિતા !” કવિ તુષાર શુક્લએ તેમની આગવી છટાથી કવિતાનું પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
જાણીતાં નાટય લેખિકા, અભિનેત્રી અને દિગ્દર્શક અર્ચના ચૌહાણે નાટય લેખન, અભિનય અને દિગ્દર્શન વિશેની પોતાની કેફિયત પ્રસ્તુત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે “લેખન હોય કે અભિનય દિગ્દર્શન હોય કે જીવનનું કોઈપણ ક્ષેત્ર એમાં સફળતા મેળવવા માટે ધીરજ ખૂબ જરૂરી છે. રાતોરાત સફળતા કદી મળતી નથી. હચમચાવી નાખે એવી પરિસ્થિતિમાં પણ ધગશપૂર્ણ પરિશ્રમ અને ધીરજ હશે તો સફળતા તમારા કદમ ચુમશે જ.” કેન્સર જેવી જીવલેણ બીમારીને બબ્બે વાર મહાત કરનાર અર્ચના ચૌહાણની કેફીયતે સૌ શ્રોતાઓને વિચારમંત કરી મૂક્યા હતા.
બીજા સત્રની શરૂઆતમાં સંદેશ ન્યૂઝ ચેનલનાં એન્કર ક્રિશ્ના પટેલે ઇલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શનરૂપ વ્યાખ્યાન આપ્યું હતું. ક્રિશ્ના પટેલે જણાવ્યું હતું કે ” પત્રકારની જોબ એ ગ્લેમરસ જોબ નથી. તેમાં અનેક પડકારો અને જોખમો રહેલા છે જે આ ક્ષેત્રમાં આવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ જાણી લેવું જોઈએ. પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પુષ્કળ વાંચન કરવું જોઈએ કોઈપણ વિષયના તલસ્પર્શી જ્ઞાન વગર તમે સફળ ડિબેટ કરી શકો નહિ. એક જાગૃત પત્રકારે સાંપ્રત પ્રવાહો, ઇતિહાસ, ભૂગોળ જેવી તમામ બાબતોથી જાતને સતત અપડેટ રાખવી પડે છે.”
વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલે બીજરૂપ વ્યાખ્યાન આપ્યું હતું. તેઓએ તેમના પત્રકારત્વના દિલધડક અને જીવના જોખમે પાર પાડેલ મિશનનાં સંસ્મરણો તાજાં કર્યાં હતાં. સાથે સાથે તેઓએ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં કારકિર્દીની ઉજ્જવળ તકો વિશે પણ જાણકારી આપી હતી. નવોદિત સૌને સલાહ આપતાં દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે “હું એક એક્સીડેન્ટલ જર્નાલીસ્ટ છું. અકસમતે પત્રકારત્વમાં આવ્યો. પરંતુ બીજા કરતાં કાંઈક અલગ કરવાની ખેવનાએ મને સફળતા મળી. તમે જે પણ ક્ષેત્રમાં છો તેમાં નવી કેડી કંડારો. કુદરતે તમને યુનિક બનાવ્યા છે. બીજાઓ જેવા બનવામાં સમય બરબાદ કરશો નહિ.”
નોંધનીય બાબત એ છે કે સર્જક મિલનમાં સહભાગી થવા માટે વડોદરા, ગાંધીનગર, આણંદ, પેટલાદ, મોડાસા, હિંમતનગર, અમદાવાદ, જામનગર, કચ્છથી સર્જકો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસા બી. એડ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બી.ડી. પટેલ અને ગુજરાતના સહકારી આગેવાન કનુભાઈ એમ. પટેલ (બાયડ) વિશેષ હાજરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આવું જાજરમાન સર્જક મિલન સૌ પ્રથમવાર યોજાયું હતું. આ કાર્યક્રમને ચોતરફથી જબરજસ્ત આવકાર પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમના અંતમાં આકરુન્દ પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વર પ્રજાપતિએ લાઈબ્રેરીની પ્રવૃત્તિઓનો ચિતાર આપી આભારદર્શન કર્યું હતું.