હિંમતનગરમાં બનેલી હિંસાની ઘટનાના પડઘાં સમગ્ર રાજ્યમાં પડ્યા છે, ત્યારે પોલિસ તંત્ર અને વહીવટી તંત્ર લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી રહ્યું છે. આ વચ્ચે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
તેમણે કહ્યું કે, આપણે આપણાંમાં ધ્યાન રાખવું જોઇએ. અસુરોએ જ્યારે ધર્મનું અહિત ઇચ્છ્યું હતું ત્યારે ભગવાન રામ અને કૃષ્ણએ સમયાંતે ધનુષ અને ચક્ર ઉપાડ્યું હતું, પણ હાલ શાંતિ રાખવાનો સમય છે. સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને કામ કરી રહી છે. તંત્ર પણ ખડેપગે છે. ત્યારે તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભગવાન શ્રી રામ અનેકવાર શાંતિનો સંદેશ આપ્યો હતો. તેમના આદર્શથી આપણે ચાલવું જોઇએ રામલલ્લા મર્યાદા પુરુષોત્તમ છે અને તે મર્યાદામાં રહીને તમામ લોકોએ કાર્ય કરવું જોઇએ. સમગ્ર જગત શાંતિ રાખીને ભગવાનની આરાધના કરે અને સરકારની ગાઈડલાઇનનું પાલન કરે.
સાંભળો શું કહ્યું માયાભાઈ આહિરે…
અત્રે ઉલ્લેખનિય છે કે, રામનવમીના દિવસે હિંમતનગરમાં નિકળેલી શોભાયાત્રા દરમિયાન છાપરિયા વિસ્તારમાં પહોંચાતા કેટલા અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો, જેને લઇને પરિસ્થિતિ વણસી હતી. સમગ્ર ઘટનાને લઇને હાલ હિંમતનગરમાં રેંજની પોલિસ, રેપિડ એક્શન ફોર્સ, એસ.આર.પી. તેમજ SP સહિતના કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.