ઉનાળાની ધગધગતી ગરમી શરૂ થઈ ગઈ છે. ત્યારે પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર, રાધનપુર, સમીના રણ વિસ્તારમાં રહેતા ઘુડખર સહિતના વન્ય પ્રાણીઓને પીવા માટે પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા બનાવેલા હવાડા ટેન્કરો મારફતે પાણીથી ભરવામાં આવી રહ્યા છે. સરકાર વન્ય પ્રાણીઓના પાણી માટે ઉનાળામાં રૂ.1.65 લાખ ખર્ચ કરે છે.
રણ વિસ્તારમાં 653 જેટલા ઘુડખર ઉપરાંત નીલગાય લોકડી શિયાળ ઝરખ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે આ વન્ય પ્રાણીઓને ઉનાળાની ગરમીથી રાહત મળે અને પાણીના અભાવે તેમના મોતના થાય તે માટે વનવિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં 32 પાકા હવાડા બનાવવામાં આવેલા છે.તેમાં ટેન્કરોથી પાણી ભરવામાં આવી રહ્યા છે. ઉનાળામાં જંગલી પ્રાણીઓના પાણી પાછળ સરકાર રૂ.1.65 લાખનો ખર્ચ કરે છે. આમ જંગલી પ્રાણીઓની દરકાર લેવામાં આવી રહી છે.
આ ગામોમાં વન્ય પ્રાણીઓ માટે હવાડા ભરાય છે સાંતલપુરના રોઝુ, ધોકાવાડા, ચારણકા, વૈવા, સાંતલપુર, ગરામડી, પીપરાળા, જાખોત્રા, સમીના અમરાપુર, પુગવીડ, કોડધા, રાધનપુરના જોરાવરગંજ, કરસનગઢ, બિસમિલ્લાગંજ, પરસુંદ, આતરનેશ, ઝઝામ ફાગલી અને છાણસરા ગામના રણ વિસ્તારમાં બનાવવામાં આવેલા હવાડા પાણીથી ભરવામાં આવી રહ્યા છે.
વહેલી સવાર અને સાંજે પ્રાણીઓ પાણી પીવા આવે છે: RFO
સમી આર.એફ.ઓ મિલનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રણના અંતરિયાળ વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે પાણી પીવા માટેના કોઈ સ્ત્રોત નથી ત્યારે તેમને પાણી પીવા માટે હવાડાઓ ભરવામાં આવે છે. ખાસ કરીને પ્રાણીઓના ઝૂડ જ્યાં અવર જવર કરતા હોય તેવા વિસ્તારમાં હવાડા બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હોય છે.