નવી દિલ્હી : જહાંગીરપુરી બાદ હવે દક્ષિણ દિલ્હીમાં પણ બુલડોઝર કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. MCD આજે શાહીન બાગ અને ઓખલામાં બુલડોઝર ચલાવી શકે છે. અહેવાલ છે કે, શાહીન બાગ, ઓખલા, જસોલા, મદનપુર ખાદર, જામિયા નગર અને નજીકના વિસ્તારોમાં દબાણો અને ગેરકાયદે બાંધકામ વિરોધી અભિયાન ચલાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આ કાર્યવાહી આજથી શરૂ થઈ શકે છે, જેના માટે ગેરકાયદે બાંધકામોની ઓળખ કરવામાં આવી છે.
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોર્પોરેશનના અધિકારીઓને રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો ઓખલા અને શાહીન બાગ સહિત છ થી વધુ વિસ્તારોમાં રસ્તાઓ પર દબાણો કરી રહ્યા હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત જંક ઉત્પાદનની આડમાં અસામાજિક પ્રવૃતિઓ આચરવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યા ગેરકાયદે બાંધકામ અને દબાણો તેમજ લૂંટ અને સ્નેચિંગની ઘટનાઓમાં સામેલ છે. કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે, આ કાર્યવાહીથી માત્ર ગેરકાયદેસર દબાણો જ નહીં પરંતુ ગુનામાં પણ ઘટાડો થશે.
આપને જણાવી દઈએ કે, નાગરિકતા સંશોધન કાયદાના સમયે દક્ષિણ દિલ્હી વિસ્તારમાં રમખાણોમાં શાહીન બાગ અને ઓખલામાં મોટી સંખ્યામાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસ્લિમો રહેતા હોવાની ચર્ચા હતી.
‘ભાજપ રોહિંગ્યાઓને ભગાડવા માટે આંદોલન કરશે’
ભાજપ દિલ્હી સરકાર પર બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવા દબાણ કરશે. આ અંગે ભાજપ ટૂંક સમયમાં આંદોલન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રદેશ બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આરોપ લગાવ્યો કે, દિલ્હી સરકારની મદદથી રાજધાનીમાં ઘૂસણખોરો જગ્યાએ જગ્યાએથી અતિક્રમણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મહાનગરપાલિકાઓએ પણ તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. આ માટે તેમણે ત્રણેય કોર્પોરેશનને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.