ગુજરાતની રાજનીતિમાં છેલ્લા ઘણાં સમયથી રાજનિતીમાં ઘણા ઉલટફેર અને આવકાર અને બાયબાય કરવાનો દોર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે તેવી આધારભૂત સુત્રો તરફથી માહિતી મળી છે અને રાજનીતિમાં ચર્ચાઓ જોર પકડ્યું છે. છેલ્લા લાંબા સમયથી અશ્વિન કોટવાલના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી આ વચ્ચે નવા સમાચાર સામે આવ્યા છે અને ત્રીજી તારીખે અક્ષયતૃતિયાના દિવસે ભાજપમાં જોડાવાની માહિતી પ્રાપ્ત થઇ છે.અક્ષય તૃતિયા તારશે કે ડુબાડશે !
હાલ કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની નારાજગી ચાલી રહી છે આ વચ્ચે ફેરબદલીઓના દોર વચ્ચે કોંગી નેતાઓ કેસરિયો ધારણ કરી રહ્યા છે. આ વચ્ચે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની કેટલાય સમયથી ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી ત્યારે નવા સમાચાર સુત્રો તરફથી મળી રહ્યા છે કે, તેઓ આગામી ત્રીજી તારીખે એટલે કે, અક્ષય તૃતિયાના દિવસે તેઓ કેસરિયો ખેસ ધારણ કરશે તેવા સમાચાર મળ્યા છે. એટલું જ નહીં હવે રાજનીતિના તજજ્ઞોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, અશ્વિન કોટવાલને અક્ષય તૃતિયા તારશે કે ડુબાડશે તે જોવું રહ્યું છે.
કેમ જોડાઇ શકે છે ભાજપમાં તેના પર નજર
સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પક્ષથી છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા છે. વિધાનસભામાં ચાલતા સત્ર દરમિયાન પણ તેઓ છેલ્લા ઘણા સમયથી ગેરહાજર હતા. વિધાનસભામાં વિપક્ષના નેતા ના બનાવવામાં આવ્યા હોવાથી નારાજ હોવાની ચર્ચા પણ હતી. અશ્વિન કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સામે કેટલીક વખત પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. અશ્વિન કોટવાલે જનસંપર્ક શરૂ કર્યો હતો.
કોણ છે અશ્વિન કોટવાલ?
અશ્વિન કોટવાલ સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભાના વર્ષ 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે. આ સિવાય તે વિજયનગર તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ છે.
મોડાસાના ધારાસભ્યએ હસી કાઢ્યું, આપણે તો નહીં જોડાઈએ
હાલ કોંગ્રેસમાંથી નિકળવાનો સિલસિલો યથાવત છે ત્યારે કેટલાય સમયથી મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર પણ કોંગ્રેસમાં રહેશે કે નહીં તેવી ચર્ચાઓ ચાલતી હતી, પણ તેમને મેરા ગુજરાતે અશ્વિન કોટવાલ અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે, આપણે તો આવું કંઇ વિચાર્યું નથી અને કોંગ્રેસમાં જ રહેવાના છીએ. હસતાં-હસતાં જણાવ્યું કે, આપણો આવો કોઇ વિચાર જ નથી. પણ રાજનીતિમાં ક્યારે શું થાય તે કહેવું મુશ્કેલ છે કોણ ક્યારે અને ક્યાં જોડાય તે પણ નક્કી નથી.