ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું આવે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં ગરમી મામલે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ લોકોને રાહત મળશે. એટલે કે, તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના એકેય વિસ્તાર માટે હિટવેવની આગાહી કરવામાં આવી નથી. સામાન્ય રીતે હાલ ગરમીનો પારો 44 ડિગ્રીના પાર પહોંચી ચૂક્યો છે, પરંતુ હવામાન વિભાગના મતે સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે. બીજી બાજુ દેશમાં આ વર્ષે ચોમાસું 10 દિવસ પહેલાં જ આવી શકે છે.યૂરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટે આ આગાહી કરી છે. એજન્સી મુજબ કેરળના તટ સાથે 20-21 મેના રોજ ચોમાસું ટકરાશે. જાણકારી મુજબ હાલ બંગાળની ખાડીમાં હવામાન સંબંધિત ફેરફારોના સંકેત મળી રહ્યા છે જેમાં અરબ સાગરમાં એન્ટીસાઈક્લોન ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે મોનસૂન કેરળ જલદી પહોંચી શકે છે. તેના પ્રભાવથી પશ્ચિમી વિસ્તારના બીજા ભાગમાં વરસાદ થઈ શકે છે. જાણકારી મુજબ આ વર્ષે ચોમાસું સમયે આવી જશે . સામાન્ય રીતે કેરળમાં 1 જૂને મોનસૂન દસ્તક આપે છે અને પછી દેશના અન્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં સારા વરસાદની આશા છે.