ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસમાં ભંગાણ કરવાની રણનીતિ બનાવી રહ્યું છે તો કોંગ્રેસ ભાજપમાં ભંગાણ પાડવાની ફિરાકમાં છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટી બંન્ને બાજી નજર ફેરવી રહ્યું છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક પર ભાજપની મીટ માંડીને બેઠું હોવાની રાજનીતિક ગલિયારોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક પર આ વખતે કોણ બાજી મારે છે તેના કરતા એ ચર્ચાઓ થવા લાગી છે કે, સ્વ. કોંગ્રેસ ધારાસભ્ય ડો. અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારાનું સ્ટેન્ડ શું હશે. હવે આ સ્ટેન્ડ ક્લિયર થવાના એંધાણા દેખાવા લાગ્યા છે. આધારભૂત સુત્રો તરફથી માહિતી મળી છે કે, આવનાર ટૂંક સમયમાં કેવલ જોષિયારા કેસરિયા રંગે રંગાઈ જશે અને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે.
ઘણાં લાંબા સમયથી ભિલોડા બેઠક એ કોંગ્રેસનો ગઢ રહી છે અને આ બેઠક પરથી સ્વ.ડો. અનિલ જોષિયારા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવતા હતા, જોકે કોરોનાની લાંબી સારવાર બાદ તેઓનું નિધન થતાં સવાલો ઉઠતા હતા કે, શું કેવલ જોષિયારા કોંગ્રેસની ટિકિટ પરથી લડશે કે ભાજપની ? આ સવાલો પછી તેમણે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું અને કોંગ્રેસની ચિંતન શિબિર શામળાજીમાં ઉપસ્થિત રહીને આ સવાલો પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું, ત્યારે હવે ઘણાં સમય પછી નવો વળાંક આવ્યો છે અને રાજનીતિમાં જે જોવાય છે તે હોતું નથી અને જે નથી દેખાતું તે બધુ હોય છે આ વાત સ્પષ્ટ થવાની તૈયારીઓ છે અને કેવલ જોષિયારા ટૂંક સમયમાં કેસરિયો ધારણ કરશે તે પણ વાત નક્કી હોવાનું આધારભૂત સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ પહેલા તેમનું સ્ટેન્ડ ક્લિયર નહોતું અને તેઓ ક્યાંય જવાના નથી તેવું પણ નિવેદન તેમણે આપ્યું હતું પણ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા પાછી હવે ભિલોડાા સ્વ.ધારાસભ્ય ડો. અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા પણ ભાજપમાં જોડાવાના છે તે વાત લગભગ નક્કી જ હોવાનું સુત્રો તરફથી માહિતી મળી છે.
જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ-કોંગ્રેસના અનેક રાજકીય અગ્રણીઓએ મુલાકાત લીધી હતી જેમાં સ્વ. ધારાસભ્ય અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશીયારા એ પણ ચૂપકે ચૂપકે ભાગવત સપ્તાહનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.