આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની નજર છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા બેક ટૂ બેક બેઠકોનો દોર શરૂ કરી દીધો છે, 19 મે ના રોજ મુખ્યમંત્રી બાયડની મુલાકાતે આવ્યા હતા ત્યારે ફરીથી 24 મે ના રોજ ભિલોડાની મુલાકાતે આવવાના છે, તેમની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ પહોંચવાના છે, આ માટે તાલુકા ભાજપની બેઠક આગામી 21 તારીખના રોજ યોજાનાર છે. સંગઠનને મજબૂત બનાવવા પર ભારતીય જનતા પાર્ટીએ કમર કસી દીધી હોય તેવું સ્પષ્ટ લાગે છે.
આ બાજુ હવે કેવલ જોષિયારા મુખ્યમંત્રી અને સી.આર.પાટીલની આ મુલાકાતમાં કેસરિયે રંગાઈ જશે તે વાત પણ હવે નિશ્ચિત લાગી રહી છે. આ પહેલા તેમના જોડાવાને લઇને અટકળો ચાલતી હતી, પણ આખરે વાત નક્કી હોવાનું આધારભૂત સુત્રો તરફથી માહિતી મળી હતી, પણ આગામી 24 મે ના રોજ મુખ્યમંત્રી ફરીથી અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચવાના છે ત્યારે આ કાર્યક્રમમાં કેવલ જોષિયારા પણ ભાજપમાં જોડાશે તે વાત પણ સ્પષ્ટ થઇ ચુકી છે અને કોંગ્રેસની ખાટલા બેઠકોમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે.
તાબડતોબ વિધાનસભાની ચૂંટણીને લઇને ત્રણેય બેઠકો જીતવા હવે ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું છે, તો કોંગ્રેસ પણ તમામ બેઠકો બચાવવા પહેલેથી જ કામે લાગી ગયું છે. ત્યારે હવે જોવું રહ્યું કે, આ મુલાકાતથી ભાજપને ફાયદો થશે કે પછી કોંગ્રેસને નુકસાન…