સ્પેશિયલ રીપોર્ટ, મેરા ગુજરાત
ડિજિટલ યુગમાં ઓનલાઈન ફ્રોડના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, આ વચ્ચે ગુજરાત સાયબર સેલ સતર્કતા દાખવી કામગીરી કરી રહી છે, પણ અંતરિયાળ વિસ્તારોમાં હવે સાયબર ક્રાઈમની સંખ્યામાં વધારો થાય છે પણ ભોગ બનનારે આમ-તેમ ફાંફાં મારવાનો વારો આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લાની રચના થયાને 8 વર્ષ કરતા વધારેનો સમય વીતી ગયો પરંતુ હજુ સુધી જિલ્લામાં સાયબર ક્રાઈમની અલગથી બ્રાન્ચ શરૂ કરવામાં આવી નથી, જેથી ભોગ બનનારને ત્વરિત ન્યાય મળવાની આશાઓ પરીપૂર્ણ થતી નથી.
અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં હાલ ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી રહી છે, અશ્લિલ ફોટાઓ વાઈરલ કરવાની ધમકીઓ આપીને લાખો રૂપિયાઓ ઠગી લેવાય છે પરંતુ આવા ઠગ ટોળકીથી જિલ્લાની જનતાને ત્યારે બચાવી શકાય જ્યારે જિલ્લામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ કાર્યરત થાય. નહીંતર જિલ્લામાં આવા કેસ વધતા જ જશે અને પોલિસની ફાઈલમાં આવા કેસ દબાઈ જશે પણ ન્યાય મળવાની આશા એ માત્ર કાગળ પર જ રહી જશે.
મેરા ગુજરાત
ચાલુ મહિનામાં માત્ર મોડાસા શહેરમાં ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને લોકો સાથે લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે, જેને લઇને જિલ્લા એસ.ઓ.જી. કચેરીને 3 અરજીઓ મળી છે જ્યારે સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરવાની બીજી 3 ફરિયાદો મળી છે, જ્યારે સામાજિત સંસ્થાઓ પાસે 10 જેટલા લોકોએ ઇન્સ્ટન્ટ લોન લેવાથી ઠગાઈ થવાની રજૂઆતો કરી છે. એટલું જ નહીં કેટલાય લોકો ઇન્સ્ટન્ટ લોન લેવાથી છેતરપિંડીનો ભોગ બન્યા છે પણ હજુ તેઓ બહાર નથી આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા પંથકમાં 100 થી વધારે લોકો ઇન્સ્ટન્ટ લોન લેતા છેતરપિંડીનો ભોગ બન્યા છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચ શરૂ થાય તો શું ફાયદો થાય
અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચ શરૂ થાય તો ભોગ બનનારને તાત્કાલિક તેના જે-તે સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કરી દેવાય એટલું જ નહીં જો બેંકિંગ ફ્રોડનો શિકાર થયો હોય તો બેંક અકાઉન્ટ પણ સાયબર ક્રાઈમ સીધી નજર રાખી ઘટતું કરી શકે અને જો કોઇ કિસ્સામાં ખાતામાંથી પૈસા ઉપાડી લેવાયા હોય તો જે ખાતામાં પૈસા ગયા હોય તો તાત્કાલિક ફ્રોડ કરનાર વ્યક્તિનું ખાતુ બ્લોક કરી નાણાની લેવડ-દેવડ અટકાવી શકાય.
આ સાથે જ ભોગ બનનારને તાત્કાલિક સાયબર ક્રાઈમ કચેરીથી જ ન્યાય મળવાની આશા ફરી જીવંત બની શકે અને સમયાંતરે લોકોને જનજાગૃતિના સંદેશાઓ પહોંચાડી શકે.
હાલ શું થાય છે તે પણ જાણો
હાલ એવું થાય છે કે, જ્યારે કોઇ વ્યક્તિ ઓનલાઈન ફ્રોડ અથવા તો સાયબર ક્રાઈમનો ભોગ બન્યો હોય તો પહેલા તો તેને ખ્યાલ જ નથી કે, અરજી ક્યાં કરવી. આમતેમ ભટકી નજીકના પોલિસ મથકે પહોંચી જાય છે જ્યાંથી એસ.ઓ.જી.માં અરજી કરવાનું કહે છે, ત્યારબાદ એસ.ઓ.જી.નું સરનામુ મેળવે છે ત્યાં સુધીમાં સમય વીતી જાય છે અને ન્યાય મળવાની આશા તૂટી જતી હોય છે.
મેરા ગુજરાત
જ્યારે એસ.ઓ.જી. કચેરીમાં પહોંચે છે ત્યારે તેની અરજી લઇને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવાનું જણાવાય છે અને ભોગ બનનાર પોતાની ફરિયાદ રજૂ કરે છે. સામાન્ય રીતે જો કોઇ વ્યક્તિ સાયબર ક્રાઈમનો શિકાર થયો હોય બેંકિંગ ફ્રોડ થયું હોય તો બે થી ત્રણ કલાકમાં પોલિસને જાણ કરે તો પૈસા પાછા આવવાની શક્યતાઓ વધી જતી હોય છે પણ અહીં તો સાયબર ક્રાઈમ ન હોવાથી એક કચેરીથી બીજી કચેરી જવામાં જ કલાકો વીતી જતાં હોય છે.
લોકોમાં જનજાગૃતિનો અભાવ
સાયબર ક્રાઈનને લઇને લોકોમાં જનજાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ભોગ બનનારે કેવી રીતે અને ક્યાં અરજી કરી તે જાણકારીનો અભાવ છે. લોકો સુધી હજુ સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર 1930 પહોંચી શક્યો જ નથી. એસ.ઓ.જી. ની ટીમ સેમિનાર કરતી હશે પણ તે પૂરતા ન હોય તેવું લાગે છે.
લોકોમાં જનજાગૃતિનો માટે શું કરવું જોઇએ તે પણ જાણો
સતત વધી રહેલા સાયબર ક્રાઈના કિસ્સાઓથી બચવા લોકો સુધી માહિતી પહોંચે તે માટે તમામ પોલિસ મથકે પોસ્ટર અથવા તો સ્ટીકર લગાવવા જોઇએ. જાહેર કાર્યક્રમોમાં એક સ્ટોલ મુકી જરૂરી માહિતી લોકો સુધી પહોંચે તેવા પ્રયોસ કરવા જોઇએ. પોલિસની ગાડી પર સાયબર ક્રાઈન હેલ્પ લાઈનના નંબર 1930 દર્શાવતા સ્ટીકર લગાવવા જોઇએ. જિલ્લાના જાહેર સ્થળે પોસ્ટર અથવા તો બેનર્સ લગાવી શકાય. કોઇપણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં પોસ્ટર લગાવવાથી લોકો સુધી માહિતી પહોંચી શકે.