જાહેર ક્ષેત્રની કંપની એનબીસીસી ઈન્ડિયા લીમિટેડ ના અનુભવી ઉમેદવારો માટે સારા સમાચાર છે. કંપનીએ જનરલ મેનેજર (એન્જિનિયરિંગ), એડિશનલ જનરલ મેનેજર (માર્કેટિંગ) અને પ્રોજેક્ટ મેનેજર (સિવિલ)ના પદ માટે અરજીઓ મંગાવી છે. તાજેતરમાં કંપનીએ તેનું નોટિફિકેશન જાહેર કરી ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ભરતી અંતર્ગત કુલ 23 જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો 8 જૂન 2022 સુધી એનબીસીસી ની સત્તાવાર વેબસાઇટ nbccindia.com પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે.
નોટિફિકેશન અનુસાર, પોસ્ટની કુલ સંખ્યા 23 છે. જેમાં જનરલ મેનેજર (એન્જિનિયરિંગ)ની 6 જગ્યાઓ, એડિશનલ જનરલ મેનેજર (માર્કેટિંગ)ની 2 જગ્યાઓ અને પ્રોજેક્ટ મેનેજર (સિવિલ)ની 15 જગ્યાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે જનરલ મેનેજર અને એડિશનલ જનરલ મેનેજરની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. પ્રોજેક્ટ મેનેજરની જગ્યાઓ માટે ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યુ બંન્નેમાંથી પસાર થવું પડશે.
આવશ્યક લાયકાત અને વય મર્યાદા
જનરલ મેનેજર (એન્જિનિયરિંગ)ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી અને સંબંધિત ક્ષેત્રમાં 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એડિશનલ જનરલ મેનેજર (માર્કેટિંગ)ના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે એમ.બી.એ. ની ડિગ્રી અને સંબંધિત ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ હોવો જોઈએ. પ્રોજેક્ટ મેનેજર (સિવિલ) ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી અને 6 વર્ષનો અનુભવ હોવો જોઈએ. પ્રોજેક્ટ મેનેજર માટે મહત્તમ વય મર્યાદા 37 વર્ષ, જનરલ મેનેજર અને એડિશનલ જનરલ મેનેજર માટે 45 અને 49 વર્ષ છે.
પગાર
જનરલ મેનેજરના પદ માટે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને દર મહિને રૂ. 90,000 થી રૂ. 2,40,000 સુધીનો પગાર આપવામાં આવશે. એડિશનલ જનરલ મેનેજરનો પગાર રૂ. 80,000 થી રૂ. 2,20,000 સુધીનો હોય છે. આ સિવાય પ્રોજેક્ટ મેનેજરનો પગાર રૂ. 60,000 થી રૂ. 1,80,000 સુધી નક્કી કરવામાં આવ્યો છે.
આ રીતે કરી શકાય છે અરજી
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, પાત્રતા ધરાવતા ઉમેદવારોએ એનબીસીસી ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ nbccindia.com પર જવું પડશે. અહીં તેમને આ ભરતીની સૂચના અને અરજીની લિંક મળશે. બધા ઉમેદવારોએ અરજી કરતા પહેલા સૂચના કાળજીપૂર્વક તપાસવી જોઈએ.