ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોચરબ આશ્રમ ખાતેખી દાંડી સાયકલ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. વર્ષ 1930માં 12મી માર્ચના રોજ રાષ્ટપિતા મહાત્મા ગાંધીએ સંસ્થાનવાદની શક્તિને પડકારી હતી અને દાંડી માર્ચનું નેતૃત્વ કર્યું હતું. આ દાંડી યાત્રાની આજે 92મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી.
આજથી 92 વર્ષ પહેલાં 12 માર્ચના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી અને તેની યાદગીરીરૂપે દર વર્ષે આજની તારીખથી પ્રતિકાત્મક દાંડી યાત્રા યોજવામાં આવે છે. તેમાં કેટલાક લોકો દાંડી સુધીની યાત્રા કરતા હોય છે. ત્યારે આ વખતે પણ આવી જ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક લોકો સાયકલ લઈને દાંડી સુધીની યાત્રા કરશે.
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, આત્મનિર્ભર ગામથી જ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. ગાંધીજી દાંડી યાત્રા દરમિયાન રાત્રી રોકણમાં ગામ લોકો પાસેથી ગામોની તથા અન્ય સમસ્યાઓ વિશે માહિતી મેળવતા હતા. ગાંધીજીએ દાંડી યાત્રામાં ગામની સમસ્યા જાણ્યા બાદ દેશ અને ગામોની સમસ્યાના નિવારણ પર ઘણું કામ કર્યું હતુ.