નવી દિલ્હી : ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનાર એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે, 50થી વધુ ધારાસભ્યો તેમને સમર્થન આપી રહ્યા છે. ભાજપ શાસિત આસામમાં ધામા નાખતા શિંદેએ કહ્યું, “તેમાંથી 40 શિવસેનાના છે.”
શિંદેએ કહ્યું, “જેને અમારી ભૂમિકામાં વિશ્વાસ છે તેઓ અમારી સાથે જોડાશે. અમે બાળાસાહેબની વિચારધારાને આગળ વધારવા માંગીએ છીએ, જેમને તે ગમશે, તેઓ આવશે.” તેમણે કહ્યું કે અમે બાળાસાહેબ ઠાકરેની શિવસેના છોડી નથી.
ઉદ્ધવની આગેવાની હેઠળના કેમ્પે એકનાથ શિંદે સહિત 12 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. જો કે, શિંદેએ વળતો જવાબ આપતા કહ્યું કે, તમે કોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છો અને તેઓ કાયદો પણ જાણે છે.
58 વર્ષીય શિંદેએ એમ પણ કહ્યું કે, ગેરલાયકાતની નોટિસ ફાઈલ કરવાનું શિવસેનાનું પગલું ‘ગેરકાયદેસર, છે. “ગઈકાલે જે કરવામાં આવ્યું હતું તે ગેરકાયદેસર છે, તેમને કોઈ અધિકાર નથી. આપણે બહુમતી ધરાવતા લોકો છીએ અને લોકશાહીમાં સંખ્યા મહત્વપૂર્ણ છે. તે ગેરકાયદેસર છે, તેઓ આ પ્રકારનું સસ્પેન્શન પણ કરી શકતા નથી.”
ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કેટલાક વધુ ધારાસભ્યો ગુવાહાટી પહોંચી રહ્યા છે, જ્યાં શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો બુધવાર સવારથી જ છાવણી કરી રહ્યા છે. બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર માટે સંભવિત ખતરો દર્શાવતા 40 થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરતા વીડિયો અને ફોટા પ્રકાશિત કર્યા હતા.
અસંતુષ્ટ ધારાસભ્યો દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો અને ફોટોગ્રાફ્સ અનુસાર, શિંદે હોટલમાં ધારાસભ્યો સાથે પોઝ આપતા જોવા મળે છે. દરમિયાન આજે બપોરે 12 વાગ્યે મુંબઈમાં મહત્વની બેઠક મળવાની છે.
ગુવાહાટીમાં અપક્ષ સહિત 45થી વધુ ધારાસભ્યો હાજર છે
હાલમાં, ગુવાહાટી હોટલમાં 45 ધારાસભ્યો છે, જેમાં શિવસેનાના 37 ધારાસભ્યો અને 1 MLC, 5 અપક્ષ અને પ્રહાર સંગઠનના 2 ધારાસભ્યો છે.
2 વધુ અપક્ષ ધારાસભ્યો રાત્રિ દરમિયાન ગુવાહાટી પહોંચ્યા, ત્યારબાદ ગુવાહાટીમાં ધારાસભ્યોની કુલ સંખ્યા 47 (46 MLA + 1 MLC) થઈ ગઈ છે. શુક્રવારે, શિવસેનાના વધુ 2-3 ધારાસભ્યો સુરત થઈને ગુવાહાટી પહોંચે તેવી શક્યતા છે.