આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડી-જોર લગાવવામાંં આવી રહ્યું છે, આ વચ્ચે ભાવનગરની એક કોલેજના ફરમાનથી સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોલેજના આ ફરમાનનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પક્ષ સાથે સંપર્ક હોય અથવા તો તે પારીટ તરફ પોતાનો પત હોય તે સ્વાભાવિક છે, પરંતુ કોઇ વ્યક્તિને આદેશ કરીને કોઇ પક્ષમાં લઇ જવો તે કેટલે અંશે વ્યાજબી છે તે એક સવાલ અહીં ઉઠી રહ્યો છે. ભાવનગર કેળવણી મંડળ સંચાલિત કોલેજના કાર્યકારી આચાર્ય રંજનબાળા ગોહીલનો વ્યકિતગત ઝુકાવ ભાજપ તરફ હોઈ શકે તેમાં કોઈને વાંધો હોવો જોઈએ નહીં, પરંતુ કાર્યકારી આચાર્યએ એક પરિપત્ર કરી કોલેજની વિદ્યાર્થિનીઓને વોટ્સએપ ઉપર સૂચના આપી તે તમામ વિદ્યાર્થિનીઓને ભાજપ સદસ્યતા અભિયાનમાં ભાગ રૂપે ભાજપના પેજ કમિટિના સભ્ય થવાનું હોવાને કારણે તેઓ પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને મોબાઈલ ફોન સાથે લેતા આવે. આ આદેશ વાયરલ થતાં આખા રાજ્યમાં આ પ્રકારની વિચિત્ર સૂચનાની ટીકા થવા લાગી અને કોલેજના ટ્રસ્ટી મંડળ સુધી વાત પહોંચતા આખરે કાર્યકારી આચાર્ય રંજનબાળા ગોહીલે પોતાને આચાર્યની ભૂમિકામાંથી મુકત કરવાનો પત્ર ટ્રસ્ટને મોકલી આપ્યો છે.
કોલેજના કાર્યકારી આચાર્યાની આ સૂચનાથી રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે, અને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે.