મોબાઈલ સેવાઓમાં સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર શકય હોય તેવી પાંચમી જનરેશન ( 5G ) સેવાઓ દેશમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી પ્રારંભ થશે. આ સેવાઓ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમર્પિત કરશે અને તા 15 ઓગસ્ટના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શરૂ થશે એવું જાણવા મળી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ ગુજરાત આવશે અને સેવાઓનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. દેશમાં 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની નિલામી આ સપ્તાહમાં શરૂ થવાની છે અને તેમાં રિલાયન્સ જીયો, વોડાફોન આઈડિયા અને એરટેલ, અદાણી જૂથે પણ બિડિંગ કરવા માટે રસ દાખવ્યો છે . જોકે, અદાણીએ આ સ્પેક્ટ્રમ ખરીદી માત્ર એન્ટરપ્રાઇસ સેવાઓ આપવા માટે જ કરવાની જાહેરાત કરી છે એટલે ગ્રાહકોને તો માત્ર ત્રણ કંપનીઓ તરફથી જ સેવા મળશે.
લોંચ પહેલા ગુજરાતમાં 5G સેવાઓનું ટેસ્ટિંગ ગાંધીનગર, જામનગર અને વડોદરામાં થયું હતું. જામનગર ખાતે રિલાયન્સ જીયો અને ગાંધીનગર ખાતે વોડાફોન દ્વારા ટેસ્ટ થયા હતા. વડાપ્રધાન મોદી આ સેવા શરૂ કરે એ પહેલા વોડાફોન અને જીયો યુદ્ધના ધોરણે તેના લોંચ માટે તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં આ સેવાઓ શરૂ કરવા માટે અત્યારે કામગીરી થઇ રહી છે. અત્યારે કોઈ કંપની પાસે 5G ની સેવા માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી . નિલામી પછી વિજેતા કંપનીઓને તાકીદે સ્પેક્ટ્રમ ફાળવવા માટે PMO અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ કામગીરી કરી રહ્યા છે જેથી તા . 15 ઓગસ્ટ એ લોંચિંગ થઈ શકે છે.