અરવલ્લી જિલ્લામાં કારગીલ વિજય દિવસને લઇને જવાનોને યાદ કરવામાં આવ્યા અને મોડાસા શહેરમાં મશાલ રેલી યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્ર કુમાર મીણાએ મશાલ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. કારગીલ યુદ્ધમાં ભારતે વિજય મેળવ્યો હતો, જે યુદ્ધમાં કેટલાય ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા, જેની યાદમાં મોડાસા ખાતે મશાલ રેલી યોજવામાં આવી હતી.
મોડાસાના મેઘરજ રોડ પર આવેલા ઉમિયા મંદિર ના મેદાનમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધર્મગુરૂઓ તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આર્મીના જવાનો કે, જેઓ કારગીલ યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા, તેઓને યાદ કરવામાં આવ્યા હતા. શહીદ જવાનોની યાદમાં મશાલ રેલી યોજવામાં આવી હતી, જેમાં નિવૃત્ત આર્મીના જવાનો જોડાયા હતા. જિલ્લા કલેક્ટર એ મશાલ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો, જે શહેરના પાવન સિટી ડીપી રોડ, માલપુર રોડ, પંચજ્યોત સોસાયટી રોડ સહિત જુના બસ સ્ટેશન, ચાર રસ્તા થઈ ડીપ વિસ્તારમાં ફરી હતી.
આ સાથે જ અરવલ્લી જિલ્લાના નિવૃત્ત આર્મીના જવાનોને જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીનાએ સાલ ઓઢાળી સન્મનિત કર્યા હતા.