સુરતમાં વકીલ પર હુમલાની ઘટનાને પગલે સુરત પોલિસે મોટી કાર્યવાહી કરીને 37 જેટલા ટીઆરબી જવાનોને ડિસમિસ કરી કડક કાર્યવાહી કરી છે.
થોડા સમય પહેલા સુરતના સરથાણા વિસ્તારમાં વાહનોના દંડ ઉઘરાવતી પોલીસનો લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને ધારાશાસ્ત્રી મેહુલ બોઘરાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો, આ સમય દરમિયાન ધારાશાસ્ત્રી મેહુલ બોઘરા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇને સમગ્ર રાજ્યમાં તેના પડઘાં પડ્યા હતા. આ પ્રકરણ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને એક ઝાટકે 37 TRB જવાનોને ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. વાહનચાલકો સાથે ગેરવર્તણૂંકને લઇ ઉચ્ચ કક્ષાએથી આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક જવાનો લાંબા સમયથી ફરજ પર હાજર રહેતા ન હતા. જેને પણ ઘરભેગા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે TRB જવાનો નાણાંની ઉઘરાણી કરતા હોવાની પણ ફરિયાદો મળી હતી. જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ 9 જેટલા TRB જવાનોને ફરજ પરથી દૂર કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે આ ઘટના દરમ્યાન ફરજમાં બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા 9 TRB જવાનોને છુટ્ટા કરાયા છે. ટ્રાફિકમાં ઉઘરાણાની બુમ વચ્ચે 9 TRB જવાનની હકાલપટ્ટી કરવામાં આવી છે. ચાલુ ફરજે ફોનનો ઉપયોગ કરવો તેમજ પોઇન્ટ પર ગેરહાજરીને લઈને તંત્ર દ્વારા આ પગલાં લેવાયા.