અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પિશાલ ગામની પ્રાથમિક શાળાની નજીક મૃત પશુઓનો અખાડો હોવાના પગલે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગન્ધથી શાળામાં અભ્યાસ કરતા બાળકો અને આજુબાજુના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે માથું ફાડી નાખે તેવી દુર્ગન્ધથી બાળકોના અભ્યાસ પર વિપરીત અસર થતા બાળકો અને તેમના વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કરતા શિક્ષણ વિભાગ દોડતું થયું હતું
મેઘરજ તાલુકાના પિશાલ ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના પાછળના ભાગમાં અસંખ્ય મૃત પશુઓના ઢગના કારણે ખરાબ દુર્ગંધ આવે છે. જે રોગચાળાને જાણે આમંત્રણ આપતા હોય એમ લાગી રહ્યું છે. સ્થાનિકોએ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ બાબતે અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. પરિણામે વિદ્યાર્થીઓને દુર્ગંધ વાળા વાતાવરણમાં અભ્યાસ કરવો પડે છે. જેને લઈ આજે પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. જ્યાં સુધી આ મૃત પશુઓ માટે અન્ય સ્થળની વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ શાળાએ આવશે નહીં તેમ જણાવ્યું હતું.