અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં આશાવર્કર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ લઘુત્તમ વેતનની માંગ સાથે આંદોલન કરતા સરકારે વાટા-ઘાટો થકી આશાવર્કરોના પગારમાં 2500 અને આશા ફેસીલેટરના પગારમાં 2000 હજારનો વધારો કરી આપ્યો છે પરંતુ આશાવર્કર બહેનો લઘુત્તમ વેતનની માંગ પર અડગ રહી 22 સપ્ટેમ્બરે સરકાર સામે રણશિંગુ ફુક્યું છે અને લઘુત્તમ વેતનની માંગ માટે કેન્દ્ર સરકાર સામે દેખાવ કરવા દિલ્હી પહોંચી હતી અને જંતર-મંતર પર ધરણા કરી ન્યાયની માંગ કરી હતી.
અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં ફરજ બજાવતી 400 થી વધુ આશાવર્કર બહેનોએ લકઝરી મારફતે દિલ્હી જંતર મંતર પર પહોંચી આશ્ચર્યજનક આંદોલન કરી રાજ્ય સરકારને ભીંસમાં લીધી છે દિલ્હી પહોંચી કેન્દ્ર સરકાર સામે તેમની પડતર માંગણીઓનને લઈને દેખાવ કરી રહી છે સરકાર સામે સૂત્રોચ્ચાર અને બેનર પ્રદર્શિત કરી લઘુત્તમ વેતન નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા આરોગ્યલક્ષી સેવાઓને ભારે અસર પહોંચી છે
શું છે આશાવર્કર બહેનોની માંગણીઓ
( 1 ) આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો માટે વર્ગ ચાર નું રેગ્યુલર મહેકમ ઉભુ કરીને તેમને કાયમી કર્મચારી કરવામાં આવે.
( 2 ) ઈન્સેન્ટિવ જેવી શોષણ કરી પ્રથા બંધ કરીને આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો ને સાતમાં પગારપંચ મુજબ લઘુતમ વેતન પ્રમાણે પગાર ચૂકવવામાં આવે.
( 3 ) પ્રસૂતિના સમયગાળા દરમિયાન આશાવર્કર આશા ફેસિલિટેટર બહેનોને તેમજ માનદ વેતન , ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ પ્રથા આઉટસોર્સિંગ પ્રથા માં કામ કરતી હજારો મહિલાઓ ને અન્ય સરકારી મહિલા કર્મચારીની જેમ 180 દિવસની પગાર સહિતની મેટરનીટી લીવ આપવામાં આવે.
(4) 45 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવનાર આશાવર્કર તેમ જ આશા ફેસિલિટેટર બહેનોને પણ પેન્શન યોજનામાં સમાવવામાં આવે.
( 5 ) આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોને એમની કામગીરી , અભ્યાસ અને અનુભવના આધારે એફ.એચ .ડબલ્યુ તરીકેનું પ્રમોશન આપવામાં આવે.
( 6 ) સંસ્થાકીય સુવાવડના કિસ્સામાં એ . પી . એલ અને બી . પી . એલ નો ભેદ દૂર કરી તમામ સગર્ભા એ.એન.સી નું મહેનતાણું ચૂકવવામાં આવે.
( 7 ) દર વર્ષે વિધાનસભા સત્રમાં રજૂ થતા બજેટમાં આશાવર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો માટે પગાર વધારો જાહેર કરવામાં આવે.
( 8 ) દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સાડીઓ આપવામાં આવે.
( 9 ) ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓળખકાર્ડ આપવામાં આવે . તેમજ આરોગ્યનો વીમો આપવામાં આવે.
( 10 ) કામના કલાકો નક્કી કરવામાં આવે .