ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ છોડવાની અને જોડાવાનો દોર શરૂ થયો હોય તેવું લાગે છે. કોંગ્રેસ છોડી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો ચાલતો હોવાની પણ બૂમો ઉઠવા પામી છે કો, છેલ્લા 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસને એક પછી એક ફટકો પડી રહ્યો છે.કોંગ્રેસના દિગ્ગજ સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપની ભગવા ટોપી અને ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના મીડિયા સેન્ટર ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમ અને પત્રકાર પરિષદમાં ભાજપમાં જોડાતાં જ મોહનસિંહ રાઠવાએ પોતાના મનની વાત કરી છે.
ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જણાવતાં સમય સમય બળવાન હૈની પંક્તિના ઉચ્ચારણ સાથે મોહનસિંહે કહ્યું કે, “ભાજપ પક્ષમાં મારા જીવનનું સદ્ભાગ્ય સમજું છું.” આ સાથે મોહનસિંહે દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો. પછી કહ્યું કે, “વર્ષોથી મારી લાગણી હતી ભાજપમાં જોડાવાની એટલે ભાજપમાં જોડાયો છું. મારે કોઈ પક્ષ સાથે અણબનાવ નથી કે કોઈનો વિરોધ નથી.”