અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જાગૃત નાગરિક મેદાને, CM, ACB અને જિલ્લા SP ને લેખિતમાં ફરિયાદ
Advertisement
અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ફરીથી વિવાદમાં આવી ગઇ છે, અને હવે જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને સમગ્ર મામલે કર્મચારીઓને છાવરવામાં આવતા હોવાની પણ વાતો વહેતી થઇ છે. થોડા દિવસ પહેલા એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં ગાડી કાઢવાના 50 હજાર રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અને તેની સામે 20 ગાડી કાઢવાનો ઉલ્લેખ કરાયો હતો, હવે આ સમગ્ર ઘટનાને લઇને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અને કેવી રીતે સરકારી બાબુઓ કથિત ભ્રષ્ટાચાર કરતા હોય છે, જેને લઇને જાગૃત નાગરિકે અરજી કરી છે.
ખાણ-ખનીજ વિભાગમાં એક અધિકારી બે વચેટિયા રાખીને સરકારી તીજોરીને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગ પર ગંભીર આક્ષેપો કરતા લેખિતમાં ફરિયાદ કરાઈ છે કે, વારંવાર ખાણ ખનીજ વિભાગની કામગીરી સોશિયલ મીડિયા પર વાઈરલ થવા છતાં આવા અધિકારી કે કર્મચારીઓ પર કોઇ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. આ સમગ્ર ઘટનાને લઇને જાગૃત નાગરિકે મુખ્યમંત્રી, ખાણ-ખનીજ ગાંધીનગર, અરવલ્લી SP, LCB અને ACB ને લેખિતમાં રજૂઆત કરી છે.
અરજીમાં ચોંકાવનારા કેસની તપાસની કરી માંગ
મુખ્યમંત્રીને લેખિતમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, પ્રકાશ દંતાણી દ્વારા અને અન્ય કેટલાક કર્મચારીઓ દ્વારા સરકારી દફ્તરને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અગાઉ 6 મહિના પહેલા અણિયોર નજીક ગાડી પકડવામાં આવી હતી, જેમાં માલપુર ટોલ ટેક્સના સીસીટીવી ચેક કરવામાં આવે તો ગાડી નંબર 1218માં બેઠેલા અધિકારી પણ સીસીટીવીમાં જોવાશે, જો કે આ બાબતે અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો નથી.
ખાણ ખનીજના ત્રીપુટીની કોલ ડિટેઇલ્સ તપાસવાની માંગ
ખાણ ખનીજ વિભાગમાં કામ કરતા પ્રકાશ દંતાણી, કિશન અને અભિસિંહની કોલ ડિટેઇલ્સ તપાસ કરવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો આ ત્રણેય ત્રીપુટીના કોલ ડિટેઇલ્સ ચકાસમાં આવે તો મળતિયા સાથેની વાતચીતનો પર્દાફાશ થઇ શકે એમ છે.
કઇ કંપનીને માટી કાઢવા ફાયદો પહોંચાડ્યો..?
મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં એમપણ જણાવ્યું છે કે, અરવલ્લી જિલ્લામાં એક વિસ્તારમાં મોટામાં મોટી માટીકામની ખાનગી કંપનીને મંજૂરી આપવામાં આવેલી છે, જેમાં મોટા પ્રમાણમાં માટી કામનું ખોદકામ થયેલું છે અને બારોબાર વહીવટ પતાવી દઇને સરકારી તીજોરીને નુકસાન પહોંચાડ્યું છે. લેટર બોંબમાં એટલે સુધી સ્પષ્ટતા કરી છે કે, અમારે કંપનીનું નામ નથી લખવું પણ કંપનીના સીસીટીવી ફૂટેજ તપાસમાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ શકશે.
ખાણ ખનીજમાં આઉટ સોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓનો દબદબો !
ખાણ ખનીજ વિભાગમાં આઉટ સોર્સિંગ અને હંગામી રીતે કામ કરતા કર્મચારીઓનો દબદબો હોવાની પણ અટકળો તેજ થઇ છે અને એમ પણ ઉલ્લેખ કરાયો છે કે, ગયા વર્ષે આવા કર્મચારીઓના કથિત રીતે ગાડીઓ કાઢવી અને સરકારી તીજોરીને નુકસાન પહોંચાડવાના સમાચારો પ્રસિદ્ધ થયા હતા, તેમ છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં નથી આવતી, કારણ કે, આવા કર્મચારીઓની તપાસ કરવામાં આવે તો રેલી છેક સુધી પહોંચી શકે એમ છે.
સરકારી કચેરીઓમાં સરકારી જાહેર સેવક તે ટીકાનો ભાગ છે, તેઓ લોકોના ટેક્સના પૈસાનો પગાર લે છે, માટે લોકો અને મીડિયા તેમને કોઇપણ સવાલ કરી શકે છે, તેઓ મીડિયા અથવા તો જાહેર જનતાના અવાજને દબાવી શકવાની સત્તા ધરાવતા નથી. જાહેર સેવક એટલે નોકર, પ્રજાના ટેક્સના પૈસા ક્યાંક વેડફાતા હોય તો પ્રજા સવાલ જરૂરથી ઉઠાવશે, પણ કેટલીક કચેરીઓમાં અધિકારીઓ રાજાશાહી જેવા વર્તન કરતા હોય છે, પણ આવું લોકશાહીમાં તેમને છાજતું નથી.