આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે આ વર્ષે રાજ્ય કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લામાં થનારી છે તે જણાવતા અમને ગર્વ થાય છે.
રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્લામાં મુખ્ય 3 કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. જેમાં એક છે 14 મી ઓગસ્ટના રોજ સાંજે મોડાસાના એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલા મેદાનમાં યોજાનાર એટ હોમ કાર્યક્રમ. આ એટહોમ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનવંતા રાજ્યપાલ આમંત્રિત મહેમાનો સાથે શુભેચ્છા મુલાકાત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી આમંત્રિત મહેમાનો સાથે સુભેચ્છા મુલાકાત કરશે. રાષ્ટ્રગાન અને હાઈ ટી સાથે કાર્યક્રમની સમાપ્તિ થશે.
14મી ઓગસ્ટ સાંજે 6.30 કલાકે મોડાસાના એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલા મેદાનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ અને માનનીય મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જીલ્લાની વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનીત કરવામાં આવશે. આ સાથે જ જીલ્લાની પરિચય પુસ્તિકા અને કોફી ટેબલ બૂકના વિમોચન કરવામાં આવશે. રમત ગમત અને યુવા વિકાસ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમ લોકોમાં આઝાદીના જશ્નને લઇને દેશપ્રેમ જાગૃત કરશે.
15મી ઓગસ્ટ સવારે 9.00 કલાકે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેમાં માનનીય મુખ્યમંત્રી ધ્વજ ફરકાવશે. રાષ્ટ્રગાન, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા અને દેશભક્તિ ગીતો સાથે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. મુખ્યમંત્રીના ઉદબોધન બાદ પોલીસ બેન્ડની સુરાવલીથી કાર્યક્રમ શોભી ઉઠશે. પોલીસ વિભાગ દ્વારા પરેડ, મોક ડ્રીલ, મોટરસાઇકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો યોજવામાં આવશે. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ દર્શાવવામાં આવશે. કાર્યક્રમ સ્થળની બાજુમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
રાષ્ટ્ર વ્યાપી હર ઘર તિરંગા કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાય અને તેમના મકાન અને દુકાનો પર ધ્વજ ફરકાવી પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરે તે વિનંતી કલેકટર દ્વારા કરવામાં આવી.