રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લાને આપી 85 કરોડની રૂપિયાની વિકાસલક્ષી ભેટ
શામળાજી મંદિર પવિત્ર યાત્રાધામ જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
શામળાજી મંદિરમાં 5 કરોડના ખર્ચે લાઈટિંગ અને સાઉન્ડ શો
ભિલોડા અને મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે મેશ્વો જળાશયમાંથી લિફ્ટ ઇરિગેશન માટે 75 કરોડની યોજનાને મંજૂરી
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના વિકાસ માટે 5 કરોડ રૂપિયાનું યોગદાનAdvertisement
રાજ્ય કક્ષાના સ્વતંત્રા પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ મોડાસા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યંમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે અરવલ્લી જિલ્લાને 85 કરોડ રૂપિયાની વિકાસ લક્ષી યોજનાઓની ભેટ આપી છે, જેમાં ભિલોડા અને મેઘરજ પંથકમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા મેશ્વો જળાશયમાંથી લિફ્ટ ઇરિગેશન માટે 75 કરોડ રૂપિયાની યોજનાને ભેટ આપી છે. આ સાથે જ શામળાજી મંદિરને યાત્રાધામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, તો શામળાજી મંદિરમાં લાઈટિંગ અને સાઉન્ડ શો માટે 5 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ સાથે જ અરવલ્લી જિલ્લાના વિકાસ માટે રૂપિયા 5 કરોડની ભેટ આપી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 76મા સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલા ‘એટ હોમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સૌ નાગરિકો રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે જવાબદાર નાગરિક બનીએ. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સૌ નાગરિકોને સંકલ્પ થવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કર્મઠ નેતૃત્વમાં આજે સમગ્ર દેશ પૂર્ણ સમર્પણ ભાવ સાથે શહીદો પ્રત્યે શ્રેષ્ઠ સન્માન ભાવ સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ગૌરવભેર જોડાઈને રાષ્ટ્રનિર્માણની નવી ચેતના પ્રસ્તુત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પુરાતન એવી અરવલ્લી પર્વતમાળાની ગોદમાં વસેલો અરવલ્લી જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી સંપન્ન છે. અહીના નાગરિકોના દિલ વિશાળ છે. રાજ્યપાલએ શિક્ષણ ક્ષેત્રે મોડાસા પંથકના અનેરા પ્રદાનની પણ નોંધ લીધી હતી.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરાએ મહાત્મા ગાંધી, દેશને એકતાના સૂત્રથી બાંધનારા સરદાર પટેલ, મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતી જેવા મહાન પુરુષોને જન્મ આપ્યો છે. તેમણે 1857 થી 1947 સુધી દેશની આઝાદી માટે સ્વાર્પણ કરનારા વીર નાયકોને શ્રદ્ધાંજલિ પાઠવતા એમ પણ જણાવ્યું હતું કે, જે દેશ પોતાના ઇતિહાસ અને ઇતિહાસ પુરુષોને ભૂલતો નથી એ દેશ શ્રેષ્ઠ પ્રગતિ કરે છે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે દેશના વિકાસમાં સૌ નાગરિકો યોગદાન આપી પોતાનું કર્તવ્ય બજાવે.
રાજ્યપાલએ આ પ્રસંગે નાગરિકોને વૃક્ષારોપણ કરવા અને વૃક્ષોનું જતન કરવા, પ્રત્યેક જિલ્લામાં ૭૫ તળાવનું નિર્માણ કરવાના વડાપ્રધાનના આહ્વાનને સાકાર કરવા, સ્વસ્થ જીવન તેમજ ખેડૂતોની ઉન્નતિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા સૌને અનુરોધ કરી 76મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
આ અવસરે અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોર, સર્વે સાંસદ, ધારાસભ્યો, મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અરવલ્લી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, સનદી અધિકારીઓ, રાજ્ય સરકારના પદાધિકારીઓ, અરવલ્લી નગરપાલિકાના સભ્યો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ જિલ્લાના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.