સરદાર સરોવર ડેમ 135.94 મીટરની સપાટીએ
કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી 5,000 ક્યુસેકથી વધુ પાણીની જાવક
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 98.13 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 41.63 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 92 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે તેમ રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું.
રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.
રાહત કમિશનર પટેલે રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં 90.93 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી 5,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે આવતીકાલે તા. 24 ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.આ બેઠકમાં રાહત નિયામક સી.સી. પટેલ ઉપરાંત NDRF, SDRF, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત, ફિશરીઝ, કૃષિ- પશુપાલન, ફોરેસ્ટ, આર્મી, પોલીસ, સિંચાઇ, SSNNL, GMB, GSDMA સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ સહિતના અઘિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.