અમિત શાહ, છોટા ઉદેપુર
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડીચા ગામની સીમમાં આવેલા ખેતીની લાઈટો છેલ્લા પોણા બે મહિનાથી બંધ રહેતાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ગુંડીચા ગામની સીમમાં અરીઠા અને નંદપુર ફીડરમાંથી ખેતીની લાઈટ આવે છે. હાલમાં અત્રેના વિસ્તારમાં કેળા તેમજ મરચાની પણ ખેતી થઈ રહી છે. જેને પાણીની તાતી જરૂરિયાત છે. ખેડૂતને ખેતરમાં દવા છાંટવા માટે પણ ઘરેથી પાણી લાવવું પડે એવી સ્થિતિ સર્જાઇ છે.
સંખેડા તાલુકાના ગુંડીચા ગામના મેહુલભાઈ પટેલના જણાવ્યા મુજબ ગત મહિને તા. 10 જુલાઈના રોજ સંખેડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ઉચ્છ નદીમાં ઘોડાપૂર પણ આવ્યું હતું. કેટલીક જગ્યાએ થાંભલા પણ પડી ગયા હતા. જોકે આબાદ જીઇબી દ્વારા સમારકામ કામ પણ હાથ ધરાયું છે. પરંતુ હજી સુધી સમારકામ પૂરું થયું નથી.જેને કારણે ગુંડીચાની સીમમાં ખેતીની લાઈટ આવી નથી. ગુંડીચાની સીમમાં અરીઠા અને નંદપુર આ બંને ફીડરમાંથી ખેતીની લાઈટ આવે છે. પરંતુ ગત મહિને જે ભારે વરસાદ પડ્યો તે બાદથી ખેતીની લાઈટ બંધ છે.
આ વિસ્તારમાં આશરે 150 જેટલા ખેતીના કુવા આવેલા છે.હાલમાં ખેતીમાં દવા છાંટવાની પણ તકલીફ પડી રહી છે. ખાસ કરીને કેળા અને મરચાના પાકને પાણીની પણ જરૂરિયાત છે. ખેતરમાં દવા છાંટવા માટે ઘરેથી પાણી લઈ જવું પડે એવી સ્થિતિ સર્જાય છે. આ બાબતે સંખેડા જીઇબીની ઓફિસમાં અધિકારીઓને જાણ પણ કરવામાં આવેલી છે.
કેળાં, મરચીના પાકને પાણીની જરૂરિયાત
ગુંડીચા પંથકમાં અનેક ખેડૂતો કેળા અને મરચાની ખેતી કરે છે. છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી વરસાદ બંધ છે. ક્યારેક કદાચ એકાદ ઝાપટું આવી જાય છે.પણ હવે આ બંને પાકોને પાણીની ખાસ જરૂરિયાત છે. આ વિસ્તારમાં સિંચાઈ માટેના કૂવા છે. પણ ખેતીની લાઈટ બંધ હોવાથી સિંચાઈ થઈ શકતી નથી.
લાઈનમાં સમારકામ હાથ ધરાયું છે
ગયા મહિને પડેલા ભારે વરસાદ બાદ કેટલીક જગ્યાએ પોલ પડી ગયા હતા.પોલ ઉપર વેલા પણ ચડી ગયા હતા.નંદપુર ફીડર અને અરીઠા ફીડર ઉપર કામગીરી ચાલુ છે. સત્વરે લાઈન ચાલુ કરવા માટે લાઈનમાં સમારકામ હાથ ધરાઈ રહ્યા હોવાનું સંખેડા MGVCL પ્યુટી એન્જિનિયર કે.એફ.રાઠવા એ જણાવ્યું હતું.