અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટીની ચૂંટણી પહેલા પ્રથમ રેલી યોજવામાં આવી છે. આપ પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લામાં પણ પ્રચાર-પ્રસારના શ્રીગણેશ કરી દીધા છે અને બાયડ તાલુકામાંથી આ શરૂઆત કરાઈ હતી. બાયડ ખાતે મોટી સંખ્યામાં યુવાઓ આપમાં જોડાયા હતા અને જિલ્લામાં 400 થી વધુ લોકોને આપનો ખેસ પહેરાવ્યો હોવાનું યુવા નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું.
મોડાસા શહેરમાં રેલી યોજાયા બાદ મોડી રાત્રે જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ટિકિટ અંગે વાત કરતા યુવરાજસિંહે જણાવ્યું કે, મોડાસા તાલુકા પંચાયતની બેઠક પર રાહુલ સોલંકીની જીત થઇ હતી અને હાલ તેઓ કાર્યરત છે ત્યારે ટિકિને લઇને તેમણે એમપણ જણાવ્યું કે, રાહલ સોલંકીનું કામ બોલે છે અને આપ પાર્ટીના સર્વેમાં પણ તેમનું નામ મોખરાના સ્થાન પર છે. ત્યારે મોડાસા વિધાનસભા બેઠક પર આપ પાર્ટીમાં ટિકિટના દાવેદાર રાહુલ સોંલકી હોઇ શકે છે તેવું પણ હવે લાગી રહ્યું છે.
આ સાથે જ આપ નેતા યુવરાજસિંહે ભાજપ પર ઉર્જાકાંડને લઇને આકરા પ્રહારો કર્યા છે. ઉર્જાકાંડને લઇને અરવલ્લી જિલ્લામાંથી કેટલાક નામો ઉછળ્યા હતા ત્યારે કથિત ઉર્જા કૌભાંડને લઇને પણ નિવેદન આપતા જણાવ્યું કે, કેટલાક લોકોને આ બાબતે છાવરી લેવામાં આવ્યા છે, જોકે આ બાબતે તેઓ કોઇપણ સંજોગોમાં ચલાવી નહીં લે અને કાયદાકીય રીતે આગળ વધશે અને આ બાબતે લડાઈ લડશે.