અશોક વણકર-કોલીખડ
બે માણસો સૂર્યની આગળ રહીને વાતો કરતાં હતા. એક કહે સૂર્ય મારી ડાબી બાજુ છે બીજો કહે મારી જમણી બાજુ છે.આ ઘટનામાં સાચું કોણ છે..? બન્ને સાચા છે.તેઓ એકબીજાની સામસામે ઉભા રહ્યા હતા.
સત્ય અને અસત્ય મનુષ્યનાં જન્મથી લઈને મરણ સુધી તેની આસપાસ ફર્યા કરે છે . સત્ય શું? અસત્ય શું? એવા દ્વંદ્વમાં વ્યક્તિ સદા વિંટળાયેલો રહે છે. સત્યવાદી વ્યક્તિ ક્યારેક અસત્ય બાલતો હોય એવું લાગે અને જૂઠો સાચું કહે છે એવો અહેસાસ જીવનમાં ઘણીવાર થતો હોય છે.
વાસુદેવ અને દેવકી સત્યવાદી હતા. આકાશવાણી મુજબ મથુરાની જેલમાં શ્રાવણ વદ આઠમે દેવકીનાં કૂખે પુત્રનો જન્મ થાય છે. વાસુદેવ બાળકને મામા કંસથી બચાવવા માટે ટોપલીમાં લઈને યમુના નદી પાર કરીને નંદ ને ત્યાં ગોકુળ મૂકી આવે છે. ત્યાંથી વાસુદેવ મથુરા પાછા આવી જાય છે. બનેલી બધી ઘટનાઓનું વિધિવિધાનથી તેમને વિસ્મરણ થઈ જાય છે. કંસને સમાચાર મળતા જ કંસ કાલ કોઠરીમાં જાય છે. દેવકી પાસેથી આઠમું સંતાન હાથમાં લઇ લે છે. તેનાં હોશ ઊડી જાય છે. પુત્રને બદલે પુત્રી જોતાં તે વાસુદેવને ગુસ્સામાં આવી પૂછે છે. દેવકીનું આઠમું સંતાન કયું છે? સત્યવાદી વાસુદેવ પુત્રી થઈ જવાબ આપે છે.
કાન મોટો થાય છે. મારવાના અનેક કાવા દાવામાંથી નાનું બાળક કાન બચી જતાં કંસને શંકા જાય છે કે આ બાળક જ દેવકીનું આઠમું સંતાન હોવું જોઈએ. કંસ અનેક દાનવો દ્વારા બાલકૃષ્ણ પર જીવલેણ હુમલા કરાવે છે પણ કાન બચી જાય છે.
કંસ બેચેન બની જાય છે. તેનો અંત નજીક તેવો થતાં ભ્રમ થતાં ડરી જાય છે. કાન વાસુદેવ – દેવકીનું આઠમું સંતાન છે તેની ખાતરી કરવા કંસ દરબારમાં વાસુદેવને બોલાવે છે.
કંસ કહે છે : “વાસુદેવ તમે સત્યવાદીનાં પર્યાય છો. હું વર્ષોથી એક જ જવાબ મેળવી શક્યો નથી. આજે જે સત્ય હોય તે જ કહેજો.”કૃષ્ણ કોનું સંતાન છે? તમારું ને..?
વાસુદેવ કહે છે કાન મારો પુત્ર છે. કંસ ગુસ્સે થાય છે. તમે વર્ષો પહેલા તો કહેતા કે તે તમારો પુત્ર નથી. આજે કહો કે મારો પુત્ર છે.
સાચું શું છે? તે જવાબ આપો. વાસુદેવ કહે છે:”વર્ષો પહેલા મેં જે વાત કહેલી તે સત્ય હતી. આજે જે કહું છું તે પણ સત્ય છે. ”
કંસ પહેલાની જેમ જ સત્ય ને અર્ધ સત્યની મૂંઝવણ અનુભવી રહ્યો, બેચન બની શયનખંડમાં ચાલ્યો ગયો… !