મણિપુરમાં જનતા દળ (યુનાઇટેડ)ના છ માંથી પાંચ ધારાસભ્યો શુક્રવારે ભાજપમાં જોડાયા હતા. મણિપુર જેડીયુના ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ ભાજપના રાજ્યસભાના સાંસદ સુશીલ મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કરતા કહ્યું કે, મણિપુર અને અરુણાચલ જેવા રાજ્યો જેડીયુ મુક્ત થઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં નીતિશ કુમારની પાર્ટીએ બિહારમાં બીજેપી સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) ગઠબંધનમાંથી બહાર નીકળી ગયા હતા.
મણિપુર વિધાનસભાના અધ્યક્ષે વિલીનીકરણને મંજૂરી આપી
ખુમુક્કમ સિંહ, ન્ગુરસાંગાલુર સનાતે, અચબ ઉદ્દીન, થંજમ અરુણ કુમાર અને એલએમ ખુટે જેડી(યુ)ના ધારાસભ્યોમાં સામેલ છે જેઓ પટનામાં ભાજપની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા ભાજપમાં જોડાયા હતા. મણિપુર વિધાનસભાના સ્પીકરે પણ જનતા દળ યુનાઈટેડના ધારાસભ્યોના ભાજપમાં વિલીનીકરણને મંજૂરી આપી દીધી છે.
નીતીશ કુમારના જનતા દળ યુનાઈટેડને છેલ્લા નવ દિવસમાં આ બીજો ફટકો છે. 25 ઓગસ્ટના રોજ, અરુણાચલ પ્રદેશમાં જેડી(યુ)ના એકમાત્ર ધારાસભ્ય ટેકી કાસો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
જનતા દળ યુનાઇટેડને 2019 માં અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સાત બેઠકો જીતી હતી, પરંતુ તેના છ સભ્યો પાછળથી પક્ષ બદલીને ભાજપમાં જોડાયા હતા. એકમાત્ર ધારાસભ્ય પણ 25 ઓગસ્ટે ભગવા પાર્ટીમાં જોડાયા હતા.