અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસ પછી પ્રથમવાર રંગેચંગે ગરબા મહોત્સવો ઉજવવા જઈ રહ્યા છે ત્યારે મેટ્રોસિટી સહિત અલગ અલગ જગ્યાએ ગરબા માટે વિશેષ આયોજન રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. ગરબા પ્રેમીઓનો ક્રેઝ જોતા આયોજકો દ્વારા ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જો કે ગરબા મહોત્વમાં આ વર્ષે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાય તેવી શક્યાતાઓ છે. આ વચ્ચે ટ્રાફિકને નિયંત્રણમાં રાખવા માટે આયોજકોએ વિવિધ બાબતોનું ધ્યાન રાખવું ફરજિયાત થઈ ગયું છે. જેમ કે, ગરબા સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગનું આયોજન કરવું અને તેની દેખરેખ માટે ગાર્ડ્સ રાખવા વગેરે. તેમ છતા જો આ નિયમનું કડકાઈથી પાલન ન થયું અને ટ્રાફિક જામ થયો તો આયોજકો પર આકરા પગલાં પણ ભરવામાં આવી શકે છે તથા તેમનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. જાણો કયા કડક નિયમો પોલીસ દ્વારા લાદવામાં આવ્યા છે…
ટ્રાફિક વ્યવસ્થાનું આયોજકોએ રાખવું પડશે ખાસ ધ્યાન
ગરબાની મંજૂરી લેનારા આયોજકો માટે પોલીસે કડક નિયમો બનાવ્યા છે. આ માટે ગરબા સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવા ટકોર કરાઈ છે. તથા પાર્ક કરતા સમયે હાલાકી ન સર્જાય એના માટે ખાસ ગાર્ડ નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આની સાથે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ કવર થાય એવી રીતે આયોજકોએ CCTV કેમેરા લગાડવા પડશે. નોંધનીય છે કે ગરબા સ્થળ પર જે ગાર્ડ્સ છે તેમાં મહિલા અને પુરુષ બંને ફરજિયાત રાખવા પડશે.
નિયમ ભંગ કર્યો તો રદ્દ થઇ શકે છે લાઈસન્સ
અમદાવાદમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે જો કોઇ પણ પાર્ટી પ્લોટ તેમજ ગરબા મહોત્સવમાં નિયમોનું ઉલ્લંઘન થશે તો લાઈસન્સ રદ્દ થઇ શકે છે. આ માટે ગરબા માટેના નિયમોનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત છે અટલું જ નહીં કડક કાર્યવાહી પણ થઈ શકે છે. નોંધનીય છે કે પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ આ અંગે કડકાઈથી પાલન થાયે એમ જણાવ્યું હતું.