અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં કેટલાક સ્પાના સંચાલકો બહારથી રૂપલલનાઓ લાવી દેહવેપાર કરી રહ્યા છે. શહેરમાં સ્પાની આડમાં ચાલતા કૂટખાણાં હવે કિશોરોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા છે. મોડાસા શહેર સહીત જીલ્લાના અનેક સગીરો સ્પાની સોબતમાં સપડાઈ ચુક્યા છે ત્યારે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારનો એક હોશિયાર વિદ્યાર્થી ખરાબ મિત્રોની સોબતમાં સ્પામાં ઐયાશી કરતો થઇ જતા તેના જ ઘરમાં ચોરી કરી તેના મિત્રો સાથે સ્પામાં મજા કરતો હોવાનો પિતાને જાણ થતા પિતાના પગ નીચે થી ધરતી સરકી ગઈ હતી. સ્પાનો ચસ્કો છોડાવવા પિતાએ અમદાવાદ ખાનગી તબીબ પાસે કાઉન્સલીંગ કરાવતા આખરે વિદ્યાર્થીની લત મહા મુશ્કેલીએ છૂટી હતી.
મેરા ગુજરાતની ટીમ પાસે સ્પાના રવાડે ચઢી તેની યશસ્વી કારકિર્દી જોખમમાં મૂકી દેનાર એક વિદ્યાર્થીના પિતાએ રજૂ કરેલી તેમની આપવીતી આપની સમક્ષ શબ્દસઃ રજૂ કરી અન્ય વિદ્યાર્થીઓ અને સગીરો સ્પાની લતે ન ચઢે તે માટે વાચક મિત્રો સમક્ષ વાચા આપવાનો નાનકડો પ્રયાસ છે.
અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક શિક્ષિત ખેડૂતે વાત કરતા જણાવ્યું કે, મારો પુત્ર અભ્યાસમાં શરૂઆતથી તેજસ્વી હતો. તેણે ધોરણ 10 માં સારા ટકા મેળવી પાસ થતાં તેને વિજ્ઞાન પ્રવાહમાં મુકવામાં આવ્યો હતો. ધીરે-ધીરે તે ખરાબ મિત્રોના સંપર્કમા આવતા સ્પાના રવાડે ચઢી ગયો હતો. મારો દીકરો સ્પાની લતમાં લપેટાતા પેટે પાટા બાંધી દિવસ-રાત ખેતરમાં કાળી મજૂરી કરી તેના ઉચ્ચ અભ્યાસ માટે બચત કરી ઘરમાં સંગ્રહ કરી હતી. બચત કરેલ રૂપિયામાંથી થોડા થોડા રૂપિયા ઓછા થતાં, એક દિવસે 8 હજાર રૂપિયા ચોરી થતાં હું અને મારા પરિવાર વિચારમાં પડી ગયા હતા.
શરૂઆતમાં ખેતરમાં કામકાજ કરતા મજૂરો અને આજુબાજુમાં રહેતા લોકો પર શક કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં પોલીસ ફરિયાદ કરવાનું પણ નક્કી કરી લીધું હતું, ત્યારે ગામના એક ભાઈએ મારા પુત્રને સ્પામાં જતો જોઈ લેતા મને ઘરે આવી જાણ કરતા હું શૂન્ય મનસ્ક બની ગયો હતો. ત્યારપછી શાળામાંથી આવેલ પુત્રને પ્રેમથી અને પછી કડકાઈ થી પૂછતા તેને જ ઘરમાં કબાટમાં રાખેલા રૂપિયાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. તેણે કહ્યું કે, મિત્રો સાથે સ્પામાં મસાજ કરાવવા જતો હોવાનું કહેતા જ મારા પગ તળેથી જમીન સરકી ગઇ હતી. શું કરવું કાંઇ જ ગતાગમ પડતી ન હતી. થોડોક અભ્યાસ કરેલ હોવાથી તેને મનોચિકિત્સક તબીબ પાસે સારવાર કરાવી હતી. સ્પા અને ખરાબ મિત્રોની સોબત છોડાવી હોવાનું જણાવી ભારે હૈયે વાત પુરી કરી હતી.
સ્પામાં મસાજ પાર્લરના નામે ચાલતા ગોરખધંધાને ઉઘાડા પાડતી અને સત્ય હકીકત સુધી પહોંચવાનો પ્રયત્ન કરી પ્રસિદ્ધ થતા સમાચારનો આભાર વ્યક્ત કર્યો હતો.