અરવલ્લી જિલ્લાકક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ મેઘરજની પી.સી.એન હાઈસ્કૂલ ખાતે જિલ્લા સમાહર્તા નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જયાં તેમણે ધ્વજવંદને સલામી આપી પોલીસ પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું. જીલ્લાના પ્રજાજનોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ૨૦૧૩થી આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી વિકાસક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. શામળાજીના કાળીયા ઠાકોર અને બૌધ્ધની અમૂલ્ય વિરાસત ધરાવતા શ્રધ્ધાના કેન્દ્રો છે. આઝાદીકાળમાં અમૂલ્ય ફાળો આ જિલ્લાનો રહ્યો હોવાનું જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં રૂ.100 કરોડના ખર્ચે બનનારી નવીન સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલ જીલ્લાના આરોગ્ય ક્ષેત્રના વિકાસને અલગ જ સ્તર પર લઈ જશે. આ હોસ્પિટલથી જીલ્લાની જનતા સહિત સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર અને રાજસ્થાનના લોકોને પણ લાભ મળશે.
અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) મોડાસા હસ્તકનાં ૧૯ રોડ અને સ્ટ્રક્ચરનાં કામો ૫૪.૯૩ કિમી લંબાઈના તથા ૧૪૧૩૪.૩૯ લાખની રકમના મંજુર થયેલ છે જે પૈકી ૩૦.૧૮ કિમી લંબાઈના ૧૮૧૦.૦૦ લાખ રકમના ૪ કામો પૂર્ણ કરવામાં આવ્યા, ૯.૩૫ કિમી લંબાઈનાં ૧૧૮૪.૯૬ લાખ રકમના ૩ કામો પ્રગતિ હેઠળ છે તથા ૧૨ કામો ટૂંક સમયમાં શરુ થઇ રહ્યા છે તેમજ નલ સે જલની વાત કરતા કહ્યુ હતુ કે અરવલ્લી જિલ્લાના ૬૭૫ ગામો પૈકી તમામ ૬૭૫ ગામોમાં નળ જોડાણ કામ પૂર્ણ કરાયુ છે. જેમાં ૨,૯૦,૭૭૮ ઘરોને જોડાણ આપી પાણીની સુવિધાથી સજ્જ કરાયા છે. નર્મદાના નીર ઘરે ઘરે પંહોચે તે માટે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ કાર્યન્વિત કરાઇ હોવાનું જણાવ્યું હતુ.
તેમણે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, સખી મંડળ અને ગરીબ લાભાર્થીઓ માટે કરાયેલ કલ્યાણકારી કામોની પણ વિગત આપી હતી. શિક્ષણક્ષેત્ર નોંધનીય કામગીરી થઇ હોવાનું પણ જણાવ્યું હતું. જિલ્લામાં કોઇ નાગરીક ભૂખ્યા પેટે ન સુવુ પડે તે માટે અનેક પરીવારોને વિનામૂલ્યે રાશન અપાયું છે. જયારે વન નેશન વન રેશન યોજનામાં જિલ્લામાં પ્રોત્સાહક કામગીરી કરાઇ છે. આદિવાસી વિકાસ માટે સતત ચિંતિત એવી આ સરકાર દ્વારા અંદાજિત 20 કરોડના ખર્ચ કન્યા અને કુમાર છાત્રાલય બનાવવામાં આવનાર છે. જે આદિજાતિના બાળકોના ઉચ્ચ શિક્ષણમાં મહત્વનો ફાળો ભજવશે.
અરવલ્લી જિલ્લામાં 20મી પશુધન વસતી ગણતરી પ્રમાણે ગાય વર્ગના 425032 પશુઓ, ભેંસ વર્ગના 384808 પશુઓ તેમજ ઘેંટા-બકરાં વર્ગના 207564 પશુઓ મળી કુલ 10,17,404 પશુધન આવેલ છે. જિલ્લાના પશુપાલકોએ વાર્ષિક 1943 કરોડ રૂપીયાની આવક પ્રાપ્ત કરે છે.ખેતીક્ષેત્રે થયેલા કામની વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી અને સર્ટીફાઇડ બિયારણ સહીતના લાભો પુરા પાડવામાં આવે છે. તેમણે જિલ્લામાં કુપોષણ નિવારવા હાથ ધરાયેલા વિવિધ અભિયાનોની વાત કરી હતી.
ઉજવણી પ્રસંગે વિકાસ અર્થે રૂ.૨૫ લાખનો ચેક અપર્ણ કરાયો હતો. આ ઉપરાંત શાળાના પ્રાંગણમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. જિલ્લાના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડા જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નિવાસી અધિક કલેકટર એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અધિકારી રાજેશ કુચારા તેમજ જિલ્લા અગ્રણીઓ સહિત અન્ય અધિકારીઓ -પદાધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.