બંનેને જોઈ ત્યાં હાજર વાલીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જ્યારે જૈન મુનિ શુભાંકર કુમાર અને મુનિ પુનિત કુમાર ધો.12ની પરીક્ષા આપશે.
આજથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે ચાર જૈન મુનિઓ પણ ધો. 10 અને 12ની પરીક્ષા આપી રહ્યા હોવાની માહિતી મળી છે. સંસારનો ત્યાગ કરવા છતાં જીવનમાં અભ્યાસનું કેટલું મહત્ત્વ છે તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ આ જૈન મુનિઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે. માત્ર એક જ મહિનાની તૈયારી સાતે જૈન મુનિઓ પરીક્ષા આપી રહ્યા છે.
જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં આશરે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો.10 અને 12ની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સંસારની મોહ-માયા અને વૈભવનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવનારા જૈન શ્વે. તેરાપંથ સંપ્રદાયના ચાર જૈન મુનિઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદની વિદ્યાનગર સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર પર જૈન મુનિ અર્હમ કુમાર અને મુનિ ધ્રૂવ કુમાર પણ ધો. 10ની પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. બંનેને જોઈ ત્યાં હાજર વાલીઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જ્યારે જૈન મુનિ શુભાંકર કુમાર અને મુનિ પુનિત કુમાર ધો.12ની પરીક્ષા આપશે.
49 જેટલા કેદીઓ પણ આપી રહ્યા છે પરીક્ષા
મીડિયા અહેવાલ મુજબ, ધો. 10ની પરીક્ષા આપનાર બંને જૈન મુનિઓએ જણાવ્યું હતું કે, માત્ર 13 વર્ષની વયે બંનેએ દીક્ષા લીધી હતી. ત્યારે માત્ર ધોરણ 7 સુધીનો અભ્યાસ કર્યો હતો. જો કે, હવે ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી બીએ કરવાની ઇચ્છા મુનિઓએ વ્યક્ત કરી છે. જીવનમાં અભ્યાસનું કેટલું મહત્ત્વ છે તે આ મુનિઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમદાવાદ શહેરમાં 49 જેટલા કેદીઓ પણ સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપી રહ્યા છે, જેમાં ધો.10ની 37 કેદી અને ધો.12ની 12 કેદી પરીક્ષા આપી રહ્યા છે.