ગુજરાતની ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજ્જારો શિક્ષકો જગ્યાઓ ખાલી છે
Advertisement
કાયમી શિક્ષકોની જગ્યાએ પ્રવાસી શિક્ષકોથી સરકાર કામ ચલાવી રહી છે ત્યારે નવુ શૈક્ષણિક વર્ષ શરુ થયે એક મહિના જેટલો સમય થવા આવ્યો છે પણ હજી સુધી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવા માટે સરકારે પરિપત્ર બહાર પાડયો નહીં હોવાથી હજારો વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડી રહ્યુ છે.ગ્રાન્ટેડ સ્કૂલો સરકારની ઉપેક્ષાનો શિકાર બની રહી છે અને પ્રવાસી શિક્ષકોની નિમણૂંક માટેની ઉદાસીનતા સરકારના ઉપેક્ષિત વલણનો વધુ એક પૂરાવો છે. અરવલ્લીની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિવિધ વિષયો માટે અનેક પ્રવાસી શિક્ષકોની જરુર છે.
સામાન્ય રીતે સ્કૂલોમાં કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તેના પર પ્રવાસી શિક્ષકો એટલે કે કામચલાઉ શિક્ષકોની નિમણૂંક કરીને કામ ચલાવાતુ હોય છે.આવા શિક્ષકોને એક લેક્ચર દીઠ મહેતનાણુ ચુકવાય છે.સરકારે માધ્યમિક વિભાગમાં લેકચર દીઠ 175 રુપિયા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 200 રુપિયા મહેતનાણુ નક્કી કરેલુ છે.સરકાર આ વર્ષે ટેટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની શિક્ષકોની ખાલી જગ્યાઓ પર નિમણૂંક કરે તેવી શક્યતાઓ છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિમણૂંકની કાર્યવાહી તાત્કાલિક શરુ કરવામાં આવે તો પણ 6 મહિના લાગે તેમ છે. આ સંજોગોમાં પ્રવાસી શિક્ષકો વગર તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. ગત વર્ષે સરકારે જૂન મહિનામાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંકને મંજૂરી આપી હતી.ત્યારે હવે જોવુ રહ્યું કે સરકારનું શિક્ષણ તંત્ર પ્રવાસી શિક્ષક અંગે ક્યારે નિર્ણય કરે છે